સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Tuesday, June 30, 2009

જોનાથન્....


બેંગ્લોરની મનીપાલ હોસ્પીટલ નવજાત શિશુ સારવાર માટે દક્ષિણ ભારતમાં ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં મારી નવજાતશિશુ નિષ્ણાત બનવા અર્થેની તાલીમ દરમ્યાન બનેલ એક કિસ્સો આજે રજૂ કરુ છુ.
દિવાળીના દિવસો હતા પણ ડોકટર ને શાની દિવાળી ! એમાં પણ નવજાત શિશુ નિષ્ણાતને માટે આવી રજા કે તહેવારની મોજ લગભગ સ્વપ્ન સમાન હોય છે. અમારા નવજાત શિશુ વિભાગ માં પણ ઘણા બધા શિશુઓ જાણે કે દિવાળી ઉજવવા મોકલી આપેલા.!!. અમારા વ્યવસાયની મજા એ છે કે અહીં દર્દી પર ડોક્ટર ગુસ્સો કરવા ધારે તો પણ હસી પડાય છે!. ઈશ્વરની આ નાની પ્રતિકૃતિઓ ને ખૂબ ધ્યાનથી દર્શન કરવા પડે ક્યારેક પલળવાનો પણ સંભવ છે.!!. ખેર એ તો ઈશ્વરની પ્રસાદી ગણી સ્વીકારવુ જ રહ્યુ !. આવા સમયે હું ફરજ પર હતો અને અમારા નર્સીંગ સ્ટાફે જાણ કરી કે એક બેનને પોતાના શિશુને જોવા અંદર આવવુ છે. સામાન્યપણે નવજાત શિશુ વિભાગમાં પ્રવેશ પર ચુસ્ત પ્રતિબંધ હોય છે અને એક નિયત સમયે જ પ્રવેશ અને તે પણ ખાસ વસ્ત્રો પહેરી અપાય છે. આમાં એક માત્ર અપવાદ માતા માટે છે- માતાને કોઈપણ સમયે પરવાનગી લઈને પોતાના શિશુને જોવા આવવાની છૂટ હોય છે કારણકે આખરે શિશુને ડોકટરી સલાહ- દવા-દુઆ ની સાથે જો કોઈની જરુર હોય તો તે મા ના સ્નેહની છે.. પરંતુ અહીં આવનાર માતાને વ્હીલચેર પર બેસી આવવુ હતુ. સામાન્યરીતે નવજાત શિશુ વિભાગમાં બાહરની કોઈ વસ્તુ લઈ જવાથી ચેપનો ડર રહે છે આથી આ બાબતે મારી પરવાનગી માગવામાં આવી હતી. કોઈપણ ઓપરેશન બાદ જ્યારે દર્દીને ચાલવાની છૂટ હોય ત્યારે પણ ઘણી વાર ઘણા દર્દીઓ ચાલતા નથી હોતા અને બિનજરુરી વ્હીલચેર કે સ્ટ્રેચરો નો સહારો લેતા હોય છે. કેટલાક શ્રીમંત નબીરાઓની આ સ્ટાઈલ હોય છે. મને પણ થયુ કે આ વિદેશી માતા પણ આવી જ રીતે કરી રહી છે. એટલે હું ખૂદ તેને મળવા ગયો અને તેની કેસની વિગતો જાણી જે જાણી અને પછી મને ખરેખર ખોટુ વિચારવા પર પસ્તાવો થયો...
જહોન અને પેન્ની અમેરીકાથી આવેલ દંપતિ હતુ. બેંગ્લોર માં જહોન એક વિશેષજ્ઞ-ઈજનેર તરીકે છ માસના ટૂકા સમય ગાળા માટે આવેલ હતો. સાથે આવી હતી પેન્ની – એક રુપાળી ભૂરી આંખો વાળી સહ્રદયી સ્રી જેને સગર્ભાવસ્થા માં પાંચમો માસ ચાલુ હતો. બેંગ્લોર આવ્યાને એકાદ અઠવાડીયુ માંડ વિત્યુ હશે કે પેન્નીને અચાનક પેટના નીચેના ભાગે દુઃખાવો ઉપડયો. મનીપાલ હોસ્પીટલમાં તેને લાવવામાં આવી. સ્રી રોગ નિષ્ણાંત તબીબોએ પેન્ની ને દાખલ કરીને સારવાર શરુ કરી. પેન્નીને અધૂરા માસે પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. વળી સાથે નીચે થી થોડુ લોહી પણ વહી ગયેલુ . કાબેલ ડોકટરોએ આ માટે વિવિધ દવાઓ – ઈંજેકશન વિ. આપીને ખૂબ જહેમતથી પેન્નીની તબીયત થોડી કાબુમાં લીધી. મોટી ચિંતા હજુ પણ અધુરા માસે ડીલીવરી થવાની હતી. જો પાંચ કે છ માસે શિશુ આવે તો તેની બચવાની સંભાવના વિશ્વના ખૂબ સારા નવજાત શિશુ સંભાળ કેન્દ્રોમાં પણ ખૂબ પાંગળી રહેતી હોય છે. આથી દુઃખાવો અટકાવવા વિવિધ દવા સાથે પેન્નીને ડોક્ટરોએ ચુસ્તપણે સૂઈ રહેવાની(complete bed rest) સલાહ આપી. આ આકરી સલાહનુ પાલન કરીને જ શિશુનુ મુખ જોવાની આશા હોઈ પેન્નીએ ચુસ્તપણે તેનુ પાલન કર્યુ. સમય વહેતા કુલ બે માસ સતત આમ રહ્યા બાદ પેન્નીને એક દિન અચાનક દુઃખાવો ઉપડ્યો. આ દુઃખાવાને પછી દવાથી ન રોકી શકાયો અને સાતમા માસે પેન્નીને સીઝેરીયન પ્રસુતિથી બાળક અવતર્યુ. પરંતુ આ શિશુ અધૂરા માસે જન્મેલુ માત્ર 1100 ગ્રામનુ અને ખૂબ જ નાજૂક હતુ. નવજાત શિશુને જન્મની થોડી મિનિટોમાં જ ફેફસાની અંદર દવા આપવાની ખાસ વિધી કરી અમે તેને વેંટીલેટર નામના સાધન પર કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ માટે મૂક્યુ. સામાન્ય રીતે પળે પળે જીવ સટોસટના આ ખેલમાં ડોક્ટર તરીકે અમારી ફરજ હોય છે કે શિશુના માતાપિતાને પરિસ્થિતીની જાણ કરીને અગત્યના નિર્ણયોમાં તેમની સહમતિ લઈએ. આ શિશુની ખૂબ જ ગંભીર હાલતમાં પણ ઘણી વાર જહોનનો ફોન પર જ સંપર્ક થતો અને તે ખૂબ સરળતાપૂર્વક વાત સાંભળી સહમતિ આપતો. ત્રણ દિવસ પછી આજે પહેલીવાર પેન્ની પોતાના શિશુને જોવા આવી રહી હતી.! બે માસથી ચોવીસે કલાક સુઈ રહેવાને લીધે પેન્નીના પગ કૃશ અને અશકત થઈ ગયા હતા. તે પોતાના પગ પર માંડ ઉભી રહી શકતી. વ્હીલચેર પર તેના શિશુ સુધી લઈ જઈ મેં અને જહોને તેને ટેકો આપી ઉભી રાખી ત્યારે તે માંડ ઉભી થઈ શિશુને જોઈ શકી. પોતાના શિશુને પહેલી વાર જ્યારે કોઈપણ માતા જુએ છે ત્યારે તેની આંખમાં થી વહેતુ વાત્સલ્ય ઝરણુ ખરેખર વિશ્વની પ્રેમની સૌથી પ્રથમ અને સૌથી સુંદર પળ હોય છે. પેન્નીના હર્ષાશ્રુ ના બુંદો મારા અને જહોનના હાથ ભીંજવી રહ્યા હતા અને એક ડોકટર હોવાના કારણે આ સુંદરતમ પળ નો હું સાક્ષી બની રહ્યો હતો. માતાના આંસુનો ગરમાવો દરેક સંસ્કૃતિમાં સમાન જ હોય છે પછી અમેરીકન હોય કે ગરવી ગુજરાતણ ! પેન્નીને તેના શિશુની બધી વિગતો આપી અને શિશુની ગંભીર પરિસ્થિતીની જાણ કરવાનુ કાર્ય ખરેખર અઘરુ હતુ તે મેં અનુભવ્યુ અને એટલે જ કદાચ સૌ બાળરોગ નિષ્ણાતોમાં શિશુ સંબધી ગંભીર વાત પિતા સાથે કે ઘરના વડીલ સાથે કરવાનો વણલખ્યો નિયમ છે!.
પેન્નીનું શિશુ વેંટીલેટર પર જીવન નો જંગ ખેલી રહ્યુ હતુ. પેન્ની પોતાની કૃશ અને અશકત હાલતમાં પણ પ્રતિદિન ચાર વખત શિશુની પાસે આવીને ઉભી રહેતી. શિશુને તેના ખોળામાં આપી શકાય તેમ ન હોય તે અશકત હાલતમાં ધ્રુજતા હાથે શિશુની નાની આંગળીને સ્પર્શતી અને વ્હાલ કરતી.આવી મમતામયી ક્ષણો વચ્ચે પેન્ની ડોક્ટર્સ અને નર્સ સૌને શિશુ વિશે પૂછતી અને અમારા હોઠ સિવાઈ જતા કારણ કે સમયની સાથે રોજ નવી મુશ્કેલીનો સામનો કરતુ એ નાજુક શરીર હવે જવાબ દઈ રહ્યુ હતુ. આધુનિકતમ સારવાર પણ આ શિશુને ઉભી થઈ રહેલી તકલીફોમાં લા-ઈલાજ થઈ રહી હતી ! એક સાંજે પેન્ની પોતાના શિશુને મળી આવી અને મને કહ્યુ કે તેના શિશુનુ નામ તેણે જોનાથન રાખવાનુ વિચાર્યુ છે. તે દિવસે સાંજે મારી ડ્યૂટી પૂરી થઈ અને બીજે દિવસે સવારે હું જયારે પાછો હોસ્પીટલ પર આવ્યો ત્યારે પેન્નીના શિશુના બેડ પર એક કાર્ડ અને એક સફેદ ફૂલ પડયુ હતુ..!
કાર્ડમાં લખ્યુ હતુ કે – “ અમારા શિશુ જોનાથન સાથે ના અમારા ટૂંકા સાથમાં આપ સૌએ જે ઉષ્માપૂર્ણ વ્યવહાર દાખવ્યો તે માટે અમો બધા ડૉકટર્સ અને નર્સીસના ઋણી છીએ!. જોનાથન ની આત્માને ઈશ્વર શાંતિ અર્પે”. – જહોન અને પેન્ની..જાણવા મળ્યુ કે સવારે જ જ્યારે આ ઘટના બની પછી પણ આ દંપતિ ખાસ સ્ટાફનો આભાર માનવા આવેલુ અને પોતાના માટેની આઘાતની ઘડીમાં પણ તેઓ આ શિષ્ટાચાર ન ચૂક્યા!
નવજાત શિશુ નિષ્ણાત તરીકે ઘણા નાજૂક ફૂલોને ડૂબી જતા જોયા છે ડોકટર તરીકે એમને આધાર આપવો અમારી ફરજ છે. પણ કયારેક પેન્ની અને જહોન જેવા માતા-પિતાઓ તેમના વ્હાલસોયાને ગુમાવ્યા બાદ પણ અમારી આ ફરજ પ્રત્યે આદર વ્યકત કરે છે ત્યારે આ ફૂલોને ઉછેરવામાં વાગતા કાંટાનો ડંખ પણ હળવો બની જતો હોય છે. એક અમેરીકન દંપતિને તેમના સંસ્કાર માટે ભારતીય ડોક્ટર ના સલામ !

Sunday, June 28, 2009

નવજાત શિશુ નિષ્ણાતનુ કુરુક્ષેત્ર..(neonatal advanced life support)

નવજાત શિશુનો જન્મ થતા ચાલુ થાય છે એક અનોખી લડાઈ હાજર બાળરોગ નિષ્ણાતની પણ! શિશુની જીંદગીનો આધાર છે પહેલી પાંચ મિનિટમાં શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પર! અને સમયની સોય પર આ માટે શિશુને જરુરી સહાય આપવાનુ કામ છે બાળરોગ નિષ્ણાતનુ! મોટા ભાગે લેબર-રુમમા ખેલાતો આ જંગ લોકોની જાણ થી અજાણ રહે છે. તો પ્રસ્તુત છે તેનાપર નું મારુ આલેખન ....


ઝૂમ્ કરી મોટુ વાંચવામાટે લેખ પર ક્લિક કરશો.
to read enlarged HTML format please click on the article....









Wednesday, June 24, 2009

“ખરચુ “….!


અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે.
અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!
અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા! પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!
આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ.
પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ. રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!
વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”. પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!
અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!

Saturday, June 20, 2009

અધૂરા માસે જન્મતા શિશુ(premature) માટે વરદાનરુપ બનતી દવા -“ સ્ટીરોઈડ”...!!




સંદીપભાઈએ અચાનક રાત્રે ફોન કર્યો તેમની પુત્રી રીમા કે જેને સગર્ભાવસ્થાનો સાતમો માસ જાય છે તેમને અમદાવાદમાં જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞએ ‘ સ્ટીરોઈડ્સ ‘ (steroids) ના બે ઈંજેક્શન અમૂક સમયાંતરે આપવાનુ કહ્યુ છે – આ સાંભળી તેમને ખૂબ ગભરાટ થાય છે અને તેમને ડોકટર ના સૂચન પર શંકા-કુશંકા થાય છે. સંદીપભાઈના પત્ની ચંદ્રીકાબેન ફોન પર રડી પડયા કે આનાથી ગર્ભસ્થ શિશુને આડઅસર કે ખોડખાપણ આવે તેવું તો નહી થાયને ! મારા પરીચિત હોવાને નાતે મેં તેમને જે હકીકતો સમજાવી તે મને લાગે છે ઘણા માતાપિતાને ઉપયોગી થશે એટલે અહીં પ્રસ્તુત કરુ છુ...
સ્ટીરોઈડ્સની આડઅસર વિશે વાંચેલ ઘણા લેખો અને અધકચરુ જ્ઞાન આ ચમત્કારીક દવાને વધુ બદનામ કરી ચૂકેલ છે.! જેમ દાળમાં થોડું મીઠુ હોય તો દાળ સ્વાદિષ્ટ અને ખાવા લાયક લાગે પણ જો અતિરેક થાય તો દાળ ઝેર થઈ જાય ! તેમ મેડીકલ જ્ઞાન સાથે સ્ટીરોઈડ નો ઉપયોગ અમુક પરિસ્થિતીમાં ખરેખર વરદાન સ્વરુપ સંજીવની બુટી સાબિત થાય છે.! જ્યારે તેનો અતિરેક અને અયોગ્ય ઉપયોગ અનેક મુશ્કેલીને નોતરે છે.!
પ્રસુતિ પહેલા જો સગર્ભા સ્ત્રીને અધુરા સમયે – પ્રીમેચ્યોર(premature) ડીલીવરી થવાની સંભાવના હોયતો આવનાર શિશુનુ બચવુ ખરેખર અઘરુ બની રહે છે. આનુ મૂળ કારણ અધૂરા માસે આવતા શિશુનો અપૂરતો શારીરીક વિકાસ હોય છે – કંઈક અંશે કાચો ઘડો કુંભારે વ્હેલો કાઢી લીધો હોય તેવુ ! આવા શિશુને ગર્ભાશયની બાહર દુનિયામાં જીવિત રહેવા માટે સૌ-પ્રથમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પડે છે અને તેને ટકાવી રાખવા પડે છે. ગર્ભાશયમાં આ કામ માની મેલી(placenta) કરતી હતી પણ દુનિયામાં હવે આ કાર્ય શિશુએ કરવુ પડશે. આ કાર્ય કદાચ પૂરતા માસના શિશુને માટે ખાસ મુશ્કેલ નથી પણ અપૂરતા માસે આવેલા શિશુને પોતાના અવિકસિત ફેફસા સાથે કરવુ એ કરીના કપૂરને અટકયા વગર પાંચ કિલોમીટર દોડવાનુ કહેવા બરાબર છે ! આ જ કાર્ય કરવામાં મોટા ભાગના શિશુ હાંફી જાય છે અને એ નાજુક જીવ જીવન દોડમાં હારી જાય છે.! મેડીકલ વિજ્ઞાનની પ્રગતિથી આવા શિશુને આધુનિક નવજાત શિશુ સઘન સારવાર દ્વારા આધુનિક મશીનો(ventilator) થી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ(artificial respiration) આપી તેમનુ જીવન ટકાવી શકાય છે પરંતુ આ સગવડ બધે પ્રાપ્ય નથી-ખર્ચાળ છે અને તેનાથી પણ સંપૂર્ણ પણે બધા શિશુને બચાવવુ શક્ય નથી.!
અધૂરા માસે ડીલીવરી થવાના ઘણા ખરા કારણો તબીબી રીતે અટકાવવા શક્ય નથી. તો શું એવું કાંઈ કરી શકીએ જે આ શિશુના અપૂરતા વિકાસને ટેકો આપે ? અહીં સ્ટીરોઈડનો રોલ છે. ઘણી ખરી સગર્ભા મહિલામાં કે જેમાં વિવિધ કારણોથી પ્રસુતિ અધુરા માસે થાય તેવી સંભાવના હોય છે ખાસ કરીને 24(છ માસ)થી 34અઠવાડીયા(આઠ માસ) ના ગર્ભધાન સમયે તેમને ચોક્કસ પ્રકારના સ્ટીરોઈડ ઈંજેક્શનો થોડા સમયાંતરે આપવાથી ગર્ભસ્થશિશુના ફેફસાનો વિકાસ ઝડપી બને છે અને તેમની કાર્યક્ષમતા વધી જવા પામે છે. આવા શિશુનો પછી જો જન્મ અધૂરા માસે થાય તો પણ તેમની જીવિત રહેવાની અને યોગ્ય રીતે વિકાસની સંભાવના વધી જાય છે.આ પ્રકારની સારવાર ના બીજા પણ લાભ જોવા મળેલા છે જેમકે તેના થી અધૂરા માસે જન્મેલા શિશુની અન્ય તકલીફો જેમકે – આંતરડાનો સોજો (necrotizing enterocolitis)-આંખો માં રેટીના સંબધી બિમારી(retinopathy of prematurity) – મગજમાં રક્તસ્રાવ (Intracranial hemorrhage) વિ. ની સંભાવના પણ ઘટી જાય છે. આ પ્રકારની સારવાર જો યોગ્ય સ્વરુપે મર્યાદિત ધોરણે માત્ર ચોક્કસ જરુરી દર્દીને આપવામાં આવે તો શિશુને નુકશાનની સંભાવના લગભગ નહિવત છે અને ફાયદાની સંભાવના ખૂબ વધારે છે..! આમ આ પ્રકારની સ્ટીરોઈડથી થતી સારવારથી શિશુ માટે જીવિત રહેવાની આશા ઘણી બુલંદ બને છે. આ વાત હવે ઘણા પ્રાયોગીક પરીણામો ને અંતે સાબીત થયેલી છે અને નિર્વિવાદ છે.଒
જો કે આ પ્રકાર ની સારવાર ઘણીવાર અતિશય અધૂરા માસે જન્મેલા કે ખૂબ ઓછા વજન વાળા કે સારવાર અપૂરતી રહી હોય તેવા શિશુમાં કારગત ન પણ નીવડે. બધા શિશુને આ સારવારની જરુર નથી હોતી- માત્ર સ્ત્રીરોગ નિષ્ણાતને જરુર જણાય તેમાં જ આ સારવાર નો પ્રયોગ કરવો જોઈએ. નિષ્ણાતની સલાહ વગર આ સારવારનો પ્રયોગ ન કરવો.
હાલના તબક્કે નવજાતશિશુ વિજ્ઞાન સંસ્થાઓ અને સ્ત્રીરોગ વિજ્ઞાન સંસ્થાઓ આ સારવારને જરુરી ચોક્કસ દર્દીને આપી આવતીકાલના શિશુને સુરક્ષીત કરવા સલાહ આપે છે.

Wednesday, June 17, 2009

સ્તનપાન છે અમૃતપાન્...





શિશુ માટે છે અણમોલ ...

  • પ્રથમ છ માસ માટે સંપૂર્ણ આહાર છે.
  • પોષક તત્વોનું અદભૂત સંમિશ્રણ છે – એક સુપાચ્ય આહાર્
  • બનાવે બુધ્ધિશાળી – મગજશક્તિ વિકસાવે ....
  • ચેપી રોગોથી રક્ષણ કરતી સંજીવની...
  • દમ- એલર્જી- ખરજવા જેવા રોગોની સંભાવના ઘટાડે...

માતા માટે લાભદાયી...

  • પ્રસુતિ પછીનો રક્તસ્ત્રાવ અટકાવે... એનિમીયા અટકાવે...
  • કુદરતી પરિવાર નિયોજનનું સાધન-બે બાળકોમાં અંતર રાખવામાં મદદરૂપ...
  • વજન ઘટાડવામાં મદદરુપ્.- ‘ ફિગર’ બનાવી રાખે.!
  • મમતાનું પરિમાણ્..

દેશ માટે છે ઉપકારક...

  • સસ્તુ-કિફાયતી-સહુને પરવડતો શિશુઆહાર !
  • શિશુની તંદુરસ્તી – આવતીકાલ નો સ્વસ્થ નાગરીક્..
  • સ્વસ્થ શિશુ – કામકાજી માતાપિતા પણ વધુ કાર્યક્ષમ્.
  • ઓછી માંદગી થી બચતો આરોગ્યખર્ચ્...

આ બધી વાત યુનિસેફના આ વિડીયો માં બખૂબી કહેવાયેલ છે. ભાષાના સીમાડા ન નડે તેવી આ વિડીયો ખરેખર મજેદાર છે. આમ પણ માતૃત્વ અને મમતાના પરિમાણ્ સ્વરુપ સ્તનપાન પૃથ્વી પરનુ અમૃત જ છે.! અને આ વાત નિર્વિવાદ છે...


Tuesday, June 16, 2009

વાત એક ‘ સંજીવની ’ ની ...!


વાત છે ઈ.સ. 1999 ની, બાળરોગવિભાગમાં ત્યારે હું રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો 6 માસના એક શિશુને ખેંચ આવવાથી ગંભીર હાલતમાં દાખલ કરાયેલ. પ્ર્રારંભિક સારવાર અને દવાઓ થી તેને થોડી રાહત થઈ પરંતુ મગજ ના અંદર ના ભાગે ક્યાંક લોહી વહેવા થી આવું બન્યુ હોય તેવી સંભાવના પ્રબળ હતી. મગજમાં લોહીના જમા થવાથી મગજ પર ભારે દબાણ ની સ્થિતી સર્જાઈ હતી જે આ શિશુના શ્વાસોચ્છવાસ અને હ્રદયના ધબકારાને પણ અનિયંત્રીત કરી રહી હતી. લાંબો સમય આ પરિસ્થિતી રહે તો જીવનું જોખમ સો ટકા હતું. શિશુનુ આ પરિસ્થિતીમાં નિદાન માટે સી.ટી.સ્કેન (મગજનો અંદરનો એક્સ રે) કરી જોવું ખૂબ જરુરી હતુ. મગજના નિષ્ણાત સર્જનો અમુક ખાસ પ્રકાર ની સર્જરી – ઓપરેશન કરી મગજ પર દબાણ લાવતુ આ બિનજરુરી લોહી દૂર કરે તો શિશુનો જીવ બચાવી શકાય તેમ હતુ.

કમનસીબે હોસ્પીટલનું સી.ટી.સ્કેન મશીન કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ હતુ જે રીપેર થતા કદાચ કલાકો નીકળી જાય પણ અહીં તો જીવન મરણનો જંગ મિનિટો માં ખેલાઈ રહ્યો હતો.! શહેરના એક અન્ય સીટી સ્કેન સેંટર માં જો આ દર્દીને જલ્દીથી લઈ જવાય તો એ તપાસ શક્ય હતી પણ ખર્ચ હતો 1500 રૂ. ! અમારી હોસ્પીટલ માં ગરીબ દર્દીઓને સરકાર આ સેવા મફત પૂરી પાડતી હતી પણ પ્રાઈવેટ સેંટર માં તો દર્દીએ ખૂદ આ ખર્ચ કરવો રહ્યો. શિશુના માતા-પિતા ગામડેથી આવેલા ખેતમજૂર હતા જેમને કદાચ જો હોસ્પીટલમાં દર્દી માટે અપાતુ જમવાનું ન મળે તો બિચારા પાણી પીને ચલાવી લે તે હદે ગરીબ હતા.!


પહેલીવાર દર્દીની સારવારમાં દવા અને દુઆ સાથે પૈસા પણ જરુરી છે તે સમજાઈ રહ્યુ હતુ.!! આવા સમયે શું કરશું એ વોર્ડમાં હાજર ડોકટરો – નર્સો સહુ કોઈના ચહેરા પર ચિંતા લઈ આવ્યુ . અચાનક સહુને થોડા દિવસ પહેલા આવેલા કેટલાક મિત્રો યાદ આવ્યા જેમણે કોઈ દાનની જરુર હોય તો ફોન કરવા કહેલુ. ડૂબતો માણસ તણખલુ પણ પકડી લે તેમ અમે સૌએ તેમને ફોન જોડયો અને સમયની ગંભીરતાને જાણી બે મિત્રો તાત્કાલિક આવી પહોંચ્યા. મને એમ કે કોઈ શેઠીયા કે શ્રીમંત નબીરા હશે - થોડુ કાળુ નાણુ સારા કામમાં સફેદ કરશે! પણ સરપ્રાઈઝ ! આવેલા મિત્રોતો ખૂબ સાદા અને મધ્યમ વર્ગના નોકરીયાત માણસો હતા.

આગલી પંદર મિનિટમાં સી.ટી.સ્કેનની અમારી જરુરીયાત પૂર્ણ થઈ – સર્જનો એ તેમનુ ભગીરથ ઓપરેશન કર્યુ . એ ગરીબ માતા- પિતાને તેમનુ શિશુ સ્વર્ગના દ્વારેથી લગભગ ભગવાન ના હાજરાહજૂર દર્શન કરી પાછુ મળ્યુ.!! બીજે દિવસે ફરી પેલા મિત્રો આ શિશુને જોવા અને માતા-પિતાને અન્ય મદદ પહોંચાડવા આવ્યા ત્યારે મેં આ ગેબી મદદગારો વિશે પૂછપરછ આદરી અને મળેલી માહિતી ખરેખર અદભૂત હતી. આપને જણાવું તો- ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક શાખા જે જામનગર માં કાર્યરત છે તેના કર્મચારી મિત્રો (વર્ગ 1 થી 4 સુધીના તમામ) દર માસે પોતાના માસિક પગાર માંથી નાની રકમ એક દાન સ્વરુપે જમા કરે છે. આ એકત્રીત ભંડોળ સંજીવની ટ્રસ્ટ નામ હેઠળ ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે છે. આ ભંડોળમાં ઉમેરાય છે અનેક નામી – અનામી મિત્રોનો પણ ફાળો.. આ ટ્રસ્ટના રખેવાળ તરીકે મિત્રો – મહેન્દ્રસિંહ જાડેજા, યોગેશભાઈ વઢવાણીયા, સુનીલભાઈ ત્રિવેદી, કુમાર રાવલ અને જાગેશ ત્રિવેદી નિસ્વાર્થ સેવા આપે છે. ઘણી વખત રાત્રે પણ મદદ અર્થે દોડી આવે છે.! જોકે આવુ દાન કાર્ય કદાચ ઘણી સંસ્થા કરે પણ જે વાત સંજીવની ને અન્યથી અલગ બનાવે છે એ છે તેમની નિસ્વાર્થતા અને કોઈપણ અપેક્ષા વગરનુ દાન કાર્ય!. છેલ્લા 10 થી વધુ વર્ષોથી ગરીબ દર્દીને જરુરી દવા કે અન્ય તપાસ કે જે હોસ્પીટલમાં શક્ય ન હોય તે શહેર માં કે બહારગામ કોઈપણ સ્થળે સંજીવની સંસ્થાના મિત્રોની સહાયથી થાય છે તે વાતનો હું સાક્ષી છુ. પરંતુ આ લાખો રુપિયા ના દાન માટે આ સંસ્થાએ કોઈ પત્રિકા વહેંચી હોય કે અખબારો માં ફોટો કે નાની એવી પણ પ્રેસનોટ આપી હોય તે વાત મારા ધ્યાનમાં નથી!! નવાઈ લાગશે કે આ સંસ્થાએ પોતાનુ લેટરપેડ છપાવવાની પણ જરુરત નથી સમજી...! સંજીવની સંસ્થાએ અદભૂત રીતે ગુપ્તદાન નો મહિમા જાળવ્યો છે. કદાચ આ લેખ ન લખુ તો હજુ પણ નગરના શહેરીઓ કે આમ આદમી કે જેણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંસ્થાનો લાભ લીધેલો હશે તેમને આ સંસ્થાનુ નામ પણ નહી ખબર પડે.!!

સંસ્થાના મિત્રોની મનાઈ છતા, આ લેખન માત્ર મેં એ અનેક ગરીબદર્દીઓના આશીર્વાદ આ સંસ્થા સુધી પહોંચાડવા અને સમાજવતી નિસ્વાર્થભાવે કાર્યરત આ સંસ્થાનો આભાર માનવા કરેલ છે અને જો એટલુ પણ ન કરી શકીએ તો ખરેખર જામનગરને લાંછન લાગે....

Sunday, June 14, 2009

આવો બાલ્ મજદૂરી અટકાવીએ...

મિત્રો
બચપણ ની ઉંમર બાળકો માટે માણવાની છે નહી કે કામ કરવાની .... શું આપણે સૌ બાલ મજદૂરી ન અટકાવી શકીએ. ચાલો આપણા સૌથી બનતુ કરીએ કંઈ નહી તો એક બાળકને શિક્ષણ માં સહાયભૂત બનીએ... આ જ સંદેશ બાળકો માટે કાર્યરત સંસ્થા યુનિસેફ ની પ્રસ્તુત વિડીયો માં છે.
જનહિતમાં આ સંદેશ મૂકી યુનિસેફે આપણને સૌને આ અંગે વિચારવા મજબૂર કરેલ છે...

Saturday, June 13, 2009

ગર્ભવિકાસ ના ક્રમિક પગથિયા...

દરેક માતાને પોતાના ગર્ભમાં શિશુ કેવી રીતે વિકસતુ હોય છે તે જાણવાનો ખૂબ ઉત્સાહ હોય છે. તો પ્રસ્તુત છે આ વિડીયો જે ગર્ભ વિકાસ ના ક્રમિક પગથિયા દર્શાવે છે.

Thursday, June 11, 2009

પરીઓના દેશની રચના કેવી રીતે થઈ ?

click on article to zoom or enlarge.
મોટુ કરી વાંચવા લેખ પર ક્લિક કરો...






પ્રસુતિ પહેલા તબીબી વિશેષજ્ઞની પસંદગી...

મોટુ કરી જોવા લેખ પર ક્લિક કરો.
to read enlarged / zoom click on article.

Tuesday, June 9, 2009

કુદરતની છે કમાલ...

મિત્રો નવજાત શિશુ વિશે કેટલીક વાતો ખરેખર વિસ્મયકારક છે. આજે એવી જ એક વાત કરવી છે. જે જોડાયેલી છે શિશુની દ્ર્ષ્ટિ સાથે.!
સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો કારણકે માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતા વાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરુઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત બીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવેતો પ્રકાશની તીવ્રતા ઘટી જતા જ શિશુ આંખ ખોલે છે. સમય જતા શિશુઓ આંખ ખોલી આજુબાજુ નું નિરીક્ષણ કરતા હોય તેવુ લાગે છે. પરંતુ હકીકતે નવજાતશિશુઓ માત્ર 12 ઈંચ થી વધુ દૂરનું જોવા અક્ષમ હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ આંખની સંરચના હોય છે કે જેમાં લેન્સ દ્વારા રેટીના પર પ્રતિબીંબ ઝીલવાની ક્ષમતા માત્ર નજીકની વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. કુદરત નો આ 12 ઈંચનો ફંડા સમજવા વૈજ્ઞાનિકો ઘણુ મંથન કર્યુ- શા માટે 12 ઈંચ દૂર નું જ જોવાની શક્તિ મનુષ્યના શિશુને મળી તે વિષયે કોઈ એક મત પર ન આવી શક્યા અંતે તાર્કિક વાત જે બાબતે મોટા નવજાત શિશુ વિજ્ઞાની એકમત થાય છે તે છે –માતાના સ્તન અને ચહેરા વચ્ચેનુ અંતર લગભગ 12 ઈંચ જેટલુ હોય છે. મતલબ કે શિશુને જાણે કુદરતે માતાના ચહેરાને ઓળખવાની ક્ષમતા આપી છે. આમ પણ દુનિયામાં જીવન જીવવાની તમામ જરુરીયાતો સંતોષવા શિશુએ એ એક જ ચહેરાને ઓળખવાની જરુર છે..! છે ને કુદરતની કમાલ !

Saturday, June 6, 2009

ભણવાની ઋતુ આવી...

પરીક્ષાઓના પરિણામ આવે છે ત્યારે આજે મારા મિત્ર સંગીતકાર મેહુલ સુરતી નું મેં ગોઠવેલ વિડીયો સંયોજન આપના આનંદ માટે મુકુ છુ. ગુજરાત ના એ.આર.રહેમાન બનવાની ક્ષમતા મેહુલભાઈ માં છે અને તેમને સાથ મળે છે સાહિત્યના ધુરંધરો ડૉ.મુકુલ ચોકસી અને ડો.રઈશ મનીયાર નો અને અમન લેખડીયા જેવા ગાયકનો અને ગુજરાતી સંગીત ક્ષેત્રે અમુલ્ય સર્જનો સર્જાઈ રહ્યા છે. મેહુલ ની પોતાની વેબસાઈટ - mehulsurti.com પર પણ જવા જેવું છે. સુરત ખાતે મળવા જેવા આ સર્જક ને ટહુકો.કોમ પર પણ માણી શકાય છે.

Thursday, June 4, 2009

પ્રસુતિ ક્યાં કરાવશો- પિયર કે સાસરે?

કદાચ વિદેશમાં મિત્રોને આ પ્રશ્ન ન ઉદભવે પરંતુ ભારત દેશમાં હજુ ઘણા ખરા દંપતિને આ પ્રશ્ન મુંઝવતો રહ્યો છે. પ્રસ્તુત છે મારા વિચારો.
to read enlarged HTML format please click on article.
વધુ મોટુ વાંચવા લેખ પર ક્લિક કરો.



આ લેખને વધુ મોટુ કરી વાંચવા લેખ પર ક્લિક કરો.
to read enlarged HTML format please click on the article pages.

Monday, June 1, 2009

મેડીકલ અભ્યાસક્રમ – ગ્લેમર અને વાસ્તવિકતા નું ભાન જરુરી છે....



ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાની સાથે જ અનેક વિદ્યાર્થીમિત્રોને ખૂબ સરસ માર્કસ આવ્યા. અનેક મિત્રોનો સેંટર અને બોર્ડમાં રેંક આવ્યો.આ મિત્રોને હંમેશ મુજબ જર્નાલિસ્ટ મિત્રોએ પૂછ્યું “ ભાવિ કારકિર્દી “ વિશે અને લગભગ મિત્રોના સમાન જવાબ – “ મેડીકલ વિદ્યાશાખામાં જવું છે “ ! શા માટે જવું છે.-
“લોકોની સેવા કરવા !” વાહ ભાઈ વાહ કેટલા ઉદ્દાત વિચારો છે.! ઘણા મિત્રોએ એ થી પણ આગળ ઉપરની મહેચ્છા વ્યકત કરી કાર્ડીયોલોજીસ્ટ કે ન્યુરોસર્જન થવા વિશે ! ખૂબ સુંદર ! ગુજરાતી કહેવત છેને – “ નિશાન ચૂક માફ પણ નહી માફ નીચુ નિશાન !” મોટાભાગના મિત્રો આ કહેવતને ખરેખર જાણતા અને અનુસરતા લાગે છે.

મેડીકલ વિદ્યાશાખા વિશેનું આ સ્વપન ખરેખર છેલ્લા બે દાયકાથી ખૂબ જોવાતું અને ઉંચો ટી.આર.પી. ધરાવતું રહ્યું છે. માતાપિતા અને વિદ્યાર્થીમિત્રો સૌનુ વ્હાલુ આ સ્વપન ઘણી વાર આંખ ખૂલે ત્યારે વાસ્તવિકતા માં દુખદ બની રહેતુ હોય છે. દર વર્ષે મેડીકલ વિદ્યાશાખામાં ઘણા વિદ્યાર્થી મિત્રો આ શાખા છોડી જતા રહે છે અને ઘણા લાંબા સમય પછી મન સાથે સમાધાન કરે છે તેવુ સામાન્યપણે જોયેલુ છે. મેડીકલ વિદ્યાશાખા અને શિક્ષણની સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલ હોવાથી ઘણા વિદ્યાર્થીમિત્રો સહજ રીતે પૂછી લે છે “શું સાહેબ આ કોર્સ લેવા જેવો છે”?! ત્યારે આ વિશે કેટલાક પાસાનો વિચાર કરી લેવો જરુરી છે અને કારકિર્દીના ઉંબરે ઉભેલા આ મિત્રોને મદદરુપ થવા માટે મારા વિચારો રજૂ કરુ છું – તટસ્થતા પૂર્વક અભ્યાસ કરી મિત્રો પોતાની ભાવિ જીંદગી નો નિર્ણય લે તેવી અભ્યર્થના.!

ગ્લેમર નં. -1 – “ ડોક્ટરને સોશ્યલ સ્ટેટસ અને સાહેબ કહેવાય ભાઈ” !

હા એ સાચુ કે સમાજ હંમેશા તેમને ઉપયોગી અને કામના માણસોને માન આપે છે. પણ ભાઈ આવું તો દરેક ક્ષેત્રમાં છે. મૂળ વાત તો છે ગરજે ગધેડાને બાપ કહેવો પડે અને દવા અને ડોકટર ની ફી બચાવવા ઘણા લોકો ઉપરછ્લ્લુ માન અને વ્યવહાર રાખતા હોય છે. બાકિ તો ગરજ સરી કે વૈદ વેરી ! એજ સમાજ જ્યારે ડોકટરને કે તેના નિર્ણયને સમજી નથી શકતો કે શંકા કરે છે ત્યારે પળવાર પહેલા ભગવાન બનેલા સાહેબ કે તેમની હોસ્પીટલની ખેર નથી રહેતી...! આવા અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. એટલે ફૂલની સુગંધ ક્યારે પથથર માં પરિવર્તીત થાય તે કહેવું મુશ્કેલ છે. જો કે આવા બનાવોની સંખ્યા ઓછી છે પરંતુ સોશ્યલ સ્ટેટસના ફૂગ્ગાની હવા કાઢવા પૂરતા છે.

ગ્લેમર નં -2 - “ આ શાખામાં પૈસો ઘણો છે.” !

 હા ખાસ કરી ને ડોકટર સમાજ ના સફળ મિત્રોના આવક ના આંકડા ખરેખર ચોંકાવનાર હોય છે. પણ ભાઈલા, સમાજમાં મુકેશ અંબાણી, ટાટા, બિરલા કે બજાજ તો હોવાના પણ શું દેશના બધા ઔદ્યોગિક કર્મશીલો એમના સમાન ગણી શકાય. કોઈપણ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જન ની સંભાવનાઓ નક્કી કરતા પહેલા તે ક્ષેત્રના તળિયે રહેલા લોકોની સામાન્ય આવક થી વિચારવું અને વળી આ ઓછા માં ઓછી આવક મેળવવા માટે કરવો પડેલ સંઘર્ષ પણ ગણતરી માં લેવો. સરેરાશ એમ.બી.બી.એસ ડોક્ટર થતા અંદાજે સાડા પાંચ વર્ષ થઈ જાય છે જ્યારે માસ્ટર ડીગ્રી(એમ.ડી. કે એમ.એસ.) સાડા આઠ વર્ષ લઈ લે છે. બીજો ઓછા માં ઓછો એક વર્ષનો અનુભવ જોડો તો માસ્ટર ડીગ્રી ધારક ડોકટર દસ વર્ષે કમાવા લાયક સ્થિતિમાં પહોંચે છે. ત્યારે પણ તેને મળતી રકમ તેનાજ સમાન ઉંમરના અન્ય શાખાના સ્નાતકો (દા.ત. ઈજનેરો કે એમ.બી.એ). ને મળતા સેલરી પેકેજ થી ઓછી જ હોય છે. સરેરાશ ડોકટર કરતા તેનાજ જેટલા હોંશિયાર અન્ય શાખાના લોકો ડોક્ટર સાહેબ ખૂરસી પર બેસે ત્યાં સુધીમાં બે કે ત્રણ નોકરી-બદલી અને ત્રણ વિદેશ પ્રવાસો કરી ચૂક્યા હોય છે.!

જે ડોકટર મિત્રો હિંમતથી મોટા શહેરો માં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે તેમને શરુઆતી સમયમાં ખૂબ મોટી રકમનું રોકાણ કરવુ પડે છે. પ્રેકટીસ ની શરુઆતમાં બેંકના લોન ના હપ્તા ભરવામાં પણ તકલીફ પડતી હોય છે. રાત-દિન દર્દીના સુખમાં સુખ અને દુઃખે દુઃખ સમજવું પડે તો પણ કોઈ ગેરેંટી નથી કે થોડા સમય પછી હોસ્પીટલ ટકશે કે માલિક બદલાશે! શું અન્ય વ્યવસાય કે બિઝનેસમાં આટલા રોકાણ થી શાંતિપૂર્વક કમાઈ ન શકાય ? શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? -તો આવો મેદાન માં !

ગ્લેમર 3 – “જોબ સીક્યુરીટી છે ભાઈ...!”

ડોકટરીના વ્યવસાયમાં નોકરી મેળવવી ખાસ અઘરી નથી ખાસ કરીને જો સ્થળ અંગે ની સૂગ ન હોય. આજની તારીખે પણ અનેક નાના શહેરો થી માંડી મોટી કોર્પોરેટ હોસ્પીટલ માં પણ નોકરી મળવી અઘરી નથી. પરંતુ શું આટલી બધી મહેનત પછી બીજા કોઈ વ્યવસાયમાં પણ નોકરી ન મળે કે ન ટકે વિચારી જૂઓ.!

મારો મત... મેડીકલ વ્યવસાય કદી પૈસા, સ્ટેટસ કે જોબ સિક્યોરીટી વિચારી પસંદ ન કરવો ખરેખર તો આ વ્યવસાય પસંદ કરવાનું સૌથી મોટું કારણ છે તેમાં રહેલું ‘ જોબ સેટીસ્ફેક્શન્ ‘ - એક દર્દીના દુઃખને તમે હળવુ કરી શકો, એક સ્ત્રીને માતા બનવામાં મદદરુપ થઈ શકો, એક શિશુને શ્વાસ આપી આખી જીંદગી આપી શકો કે સ્વર્ગના દ્વારે ઉભેલાને ધરતી પર પાછો લાવવાનું ભગીરથ કાર્ય કરવાની સંજીવની કે વિદ્યા આ અભ્યાસક્રમ આપે છે!. એ જ છે એમાં ડૂબકી મારવાનું પ્રબળ પ્રેરક બળ્! પૈસા કે સ્ટેટસ બીજી બધી વિદ્યાશાખામાં મેડીકલ થી કદાચ વધુ મળશે પણ આ અમૂલ્ય સંતોષ મેળવવાનું શક્ય નથી. પણ બોસ ઓલી.. સ્પાઈડરમેન ફિલ્મમાં કહે છે ને કે “દરેક શક્તિ પોતાની સાથે જવાબદારીનુ પોટલુ લાવે છે”- એમ આ સંજીવની બાણ મળ્યા પછી ધનુષ્ય ઉપાડી ફરવાની તાકાત છે ને !!

થોડી ગમ્મત...

હું ડોકટર શા માટે બન્યો તેના સાચા-ખોટા કેટલાક સબળ કારણૉ નીચે મુજબ છે ...!

1. બોસ !, આમેય પહેલે થી આપણી ઉંઘ ઓછી...!

2. ગણિત ગોટાળુ કંઈ ન જાણુ ને ભૂમિતિ માં મોટુ ભોપાળુ ...!

3. મારા અક્ષર પહેલે થી જ ખરાબ રહેલા...!

4. આ બધી મોજમજા અને જલસા બહુ થયા ભાઈ ! જીંદગી બહુ માણી લીધી..!

5. નાનપણ થી જ મારો સ્વભાવ ચિંતાજનક- જરીયે કોઈનું દુઃખ ન જોવાય ભાઈ...!

6. મારા મતે જીવન ના પહેલા 30 વર્ષ આર્યકાળ અનુસાર ‘બ્રહ્મચર્યાશ્રમ’ માં ગાળવા જોઈએ.!

7. આ શાખામાં પાછલી જીંદગીની ચિંતા નથી રહેતી!(કારણકે ડોક્ટરોની સરેરાશ વય ઘટી છે.)

8. માણસે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત આ દુનિયામાં જ કરવું જોઈએ...!

9. સ્ટ્રેસથી જો બી.પી. કે હ્રદયરોગ થાયતો બોસ આપણે પૈસા જ નથી ખરચવા...



વળી જીંદગી ના યુવાની ના વર્ષો આ દસ વર્ષની તપસ્યામાં ક્યાં જતા રહે છે તે ખબર પણ નથી પડતી. પુસ્તકો ની બહારની દુનિયા,તહેવારો કે સામાજીક પ્રસંગો વિશેનું તાત્પર્ય સમય જતા જાણે ભૂલાતુ જાય છે!. એક ડીગ્રીની કિંમત આ તનતોડ મહેનત અને અનેક ઈચ્છાઓ ના દમન થી ચૂકવવા તૈયાર રહેવું પડે છે. શું આ કોસ્ટ બેનીફીટ રેશ્યો તમારા હિસાબમાં બેસે છે ? - તો આવો મેદાન માં !