સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, September 30, 2009

સંગીત ની સંગતે કરો બાળ વિકાસ...

સગર્ભાવસ્થાથી જ શિશુ અંદાજે 5મા માસથી જ તમામ શ્રાવ્ય અવાજો સાંભળી શકે છે. સૌથી વધુ તેને સંભળાતો અવાજ છે માતાનો!! આજ કારણ છે કે જન્મ પછી પણ માતાનો અવાજ શિશુને સૌથી વધુ ગમે છે. અમે હંમેશા માતાને પોતાના શિશુ સાથે વાતો કરવા કે ગાવા કહીએ છીએ. જરુરી નથી કે દરેક માતાનો અવાજ લતા મંગેશકર જેવો કર્ણપ્રિય હોય પણ તે બાળક માટે ચોક્કસ સૌથી વધુ પ્રિય હોય છે.!! એટલે થોડા જોડકણા કે ગીત જરુરથી ગાવા!! ભલે ઘરના બધા કાન બંધ કરે તેવી બીક લાગે પણ શિશુના વિકાસમાં તે સૌથી લાભદાયક રહેશે. વૈજ્ઞાનિક રીતે આને ઓડીટરી સ્ટીમ્યુલેશન થેરાપી કહે છે. શ્રાવ્ય શક્તિ બાળક્ના મગજમાં વિકાસના નવા તંતુઓ ખોલે છે. વિકસતા મગજને આ પ્રકારના સ્ટીમ્યુલેશન થી ખૂબ મદદ થશે અને તેનો વિકાસ એક હરણફાળ ભરે છે. સગર્ભાવસ્થાની મ્યુઝિક થેરાપી અને પછીનુ ઓડીટરી સ્ટીમ્યુલેશન શિશુનો બુધ્ધિ આંક 10 થી 15 જેટલો વધારી દે છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યુ છે.

માતૃત્વની કેડી પર શરુ થઈ રહી છે મ્યુઝિક થેરાપીની લેખ શૃંખલા પણ આજે માત્ર થોડા હાલરડા જ...

સૂરમયી અખિયોંમે... (યશુદાસના મખમલી અવાજમાં)




અદભૂત હાલરડુ- ધીરે સે આ નિંદીયા અખિયનમેં (લતાજીના અવાજમાં)

Thursday, September 24, 2009

કાંગારુ માતૃસુરક્ષા (Kangaroo Mother Care)

પ્રસ્તુત છે ગુજરાતી લેખન... સ્ક્રોલ કરી વાંચો ...

Kangaroo Mother Care



કાંગારુ માતૃ સુરક્ષા સમજો - સરળ વિડીયો થી...




સાંભળૉ એક અભણ માતાએ કેમ બચાવ્યુ પોતાનુ અત્યંત નબળુ બાળક કાંગારુ માતૃ સુરક્ષા વડે...




આપનો અભિપ્રાય આપશો.

Monday, September 21, 2009

ગાંઠીયા-પ્રેમી વિદેશી પંખીડુ...!!

તમે ક્યારેય કોઈ વિદેશીને ખૂબ રસથી ગાઠીયા ખાતા જોયા છે ?! શું એવા વિદેશીને જોયા છે કે જે ગાંઠીયા ખાવા પોતાના વતન પાછા ન જાય !? અને એ વિદેશી જો એક પક્ષી હોય કે જે પોતાના દેશમાં પાછુ મહદ અંશે માંસાહારી હોય તો ?! વેલ, વધુ સસ્પેન્શ ન રાખતા કહી દઉ તો એ પક્ષી છે સી-ગુલ તરીકે ઓળખાતા અમારા જામનગર ના મોંધેરા મહેમાન...!
સી-ગુલ એક પ્રવાસી વિદેશી પક્ષી છે જે ઠંડા પ્રદેશોમાં વસે છે અને ત્યાંનો કાતિલ શિયાળો બીજા ઓછા ઠંડા પ્રદેશમાં ગાળવા જઈ પહોંચે છે. ક્રિકેટ રસીકો માટે સરળ ક્લુ એ છે કે આ એજ પક્ષી છે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડના મેદાનો પર રમત દરમ્યાન જોવા મળે છે..! અત્યંત બુધ્ધિશાળી એવુ આ પક્ષી પોતાનો લાખો માઈલના પ્રવાસનો નક્શો ભૂલતુ નથી અને દર વર્ષે એ જ સ્થળે આવી પહોંચે છે!! સી-ગુલ વાતાવરણ અને મનુષ્યો સાથે ઝડપી અનૂકૂલન માટે જાણીતા છે અને તે જે દેશમાં જાય ત્યાં જલ્દીથી સેટ થઈ જાય છે!! આ પક્ષીના રોજીંદા મુખ્ય આહાર-મેનુ માં નાના કીટકો કે માછલી વિ. થી માંડી જલજ વનસ્પતિ છે. પરંતુ છેલ્લા લગભગ 6 કે 7 વર્ષથી જામનગર ખાતે આ પક્ષી ગાંઠીયા ખાતુ જોવા મળે છે. અને તે પણ ખૂબ રસપૂર્વક !!




આ પક્ષીને ગાઠીયા એટલી હદ સુધી વ્હાલા થઈ ગયા છે કે તેના સિવાય અન્ય વસ્તુ જે તે શરુઆતમાં ખાતા દા.ત. બિસ્કીટ કે પાંઉ ના ટૂકડા વિ. તે હવે સૂંઘતા પણ નથી !! જોકે આ આહાર પરિવર્તન સારુ કે ખરાબ તે પક્ષી વિશેષજ્ઞોમાં પણ શોધનો વિષય છે અને તેના વિશે મત-મતાંતરો જોવા મળે છે. 2006ની સાલમાં જ્યારે અચાનક અનેક સી-ગુલનુ મૃત્યુ થયુ ત્યારે તેમના મૃત્યુનુ એક કારણ આ ગાઠીયાને ગણવામાં આવ્યુ હતુ! અને સી-ગુલ ને ગાઠીયા ન ખવડાવવા ખાસ અનુરોધ કરતી આ વિડીયો મેં બનાવી અને લોકલ કેબલ ટી.વી. પર મૂકી હતી. પરંતુ છેલ્લ ત્રણ વર્ષથી ન તો જનતાએ આ અનુરોધ પાળ્યો છે કે ન સી-ગુલે !! એ પછી ક્યારેય કોઈ દુર્ઘટના નોંધાયી નથી કદાચ સી-ગુલે અનૂકૂલન સાધી લીધુ છે... જામનગર કે સૌરાષ્ટ્રના લોકોની જેમ તેને પણ ગાઠીયા સાથે સવારની શરુઆત કરવી કદાચ ગમે છે ??!!

તા.ક. પ્રસ્તુત વિડીયો 2006-2007માં બનાવેલી મારી પહેલી એમેચ્યોર વિડીયો છે. ક્વોલિટી દરગુજર કરશો.

Friday, September 18, 2009

નવરાત્રી-લવ રાત્રી- તેરે સંગ...!

(image courtesy- flickr photo-by deepu)

નવરાત્રી આવે એટલે અખબારો- ચેનલો વિ. અમુક નિયત કાગારોળ ચલાવે. જેમકે...

1. હવે નવરાત્રી એ તો લવ-રાત્રી થઈ ગઈ છે.
2. જો જો મદહોશીમાં હોશ ન ખોવાય...
3. નવરાત્રી પછી વધતો એબોર્શન રેટ...(આંકડા કહે છે આ નર્યુ જૂઠાણુ છે.).
વિગેરે- વિગેરે પરંતુ આ સાથે કેટલીક વાતો જે આપણે નજર અંદાજ કરીએ એ છે કે હવે કદાચ માત્ર ભક્તિનો તહેવાર નથી રહ્યો નવરાત્રી- એ જગતનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટીવલ બની ગયો છે. પરાણે પૂજા અને ભક્તિ ન થાય! માહોલ જ્યારે આનંદ અને ઉત્સવનુ હોય અને મનમાં યૌવન હિલોળા લેતુ હોય ત્યારે તેને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. કદાચ એ આ મહિનામાં પોકેટ મની મળે અને ગરબાનો એકસ્ટ્રા ખર્ચ માગતા જ મળે ત્યારે કોઈ ટીન-એજર ના ચહેરા પર જોઈ શકાય છે. એ કદાચ ધીરુભાઈને રીલાયન્સની સ્થાપના વખતે મળ્યો હોય તેનાથી જરાય ઓછો નહી હોય..! નવરાત્રીમાં મોટા ભાગના કદાચ 99 થી વધુ ટકા ટીન-એજરો નાચવા – કૂદવા અને થોડી મજાક થી આગળ વધતા નથી. પણ ક્યાંક હોર્મોન્સ નો રંગ અને ક્યાંક એકાંતનો સંગ ક્યારેક લપસાવી દે છે.!
સવાલ આવે છે આવુ ન બને એ માટે શું કરવુ? વેલ, જુદા-જુદા મેગેઝીન-અખબાર ના કહેવાતા સમાજ સુધારક – અનુભવી – સમજણશીલ લોકો એક-બે-ત્રણ-ચાર નિયમોના સ્વરુપમા લખી ચૂક્યા છે!! (છેલ્લા દસ વર્ષોથી એક જ પ્રિન્ટ નામ બદલી છપાતી હોય તેવુ લાગે છે.!!). શું માતા-પિતા ચોવીસ કલાક કે ત્રણસો પાંસઠ દિવસ જાસૂસી રાખી શકે? તો શું કરવુ વેલ જવાબ છે તરુણોને સમજો અને સલામ કરો અને તેમને સારા-નરસાનો ભેદ સમજાવો. જીવનનુ સત્ય એ જેટલુ વહેલુ સમજે તે તેમના માટે સારુ છે. જુદી-જુદી હાઈ સ્કૂલોમાં તરુણોને માટે ના લેકચર લેતી વેળાએ તેમની આંખોમાં જોયેલી ઈંતેજારી અને જાણવાની ઉત્કંઠા વિ. જોઈ ને સમજેલી છે. પરાણે હેલ્મેટ ન પહેરાવી શકાય પણ જો હેલ્મેટ ન પહેરવાના ગેરફાયદા કોઈ સમજી જાય તો કદાચ તે જાતે હેલ્મેટ પહેરી લે !?
એક ફિલ્મ તાજેતરમાં જોઈ – તેરે સંગ – જેનો વિષયવસ્તુ ખરેખર થોડો ભારતીય સંદર્ભે રુઢિચુસ્તોનુ ધ્યાન ખેંચે તેવો છે.! એ છે ટીન એજ લવ અને પ્રેગ્નન્સી પર...!





ઘણા લોકો હજુ પણ એવુ માને છે કે આવુ ભારતમાં ન બને પણ એ લોકો શાહમૃગ જેવી સોચ ધરાવે છે! કારણકે દિન પ્રતિદિન તરુણાવસ્થાના શારીરીક ફેરફારો વહેલી ઉંમરે આવી રહ્યા છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યુ છે. અને શારીરીક ફેરફારો શું માનસિક ફેરફારો કે આવેગો નહી લાવે ? જો હા તો બસ થોડા સોચો સમજો યાર! એક પિડીયાટ્રીશ્યન તરીકે અમે ટીનએજરોનુ કાઉન્સેલીંગ કરીએ છીએ એટલે કહી શકુ કે આ ફિલ્મ ખરેખર દરેક માતા-પિતાને અને તેના ટીન-એજરો એ સાથે જોઈ અને પછી ચર્ચા કરવા યોગ્ય છે. જેમકે ફિલ્મનો હીરો-હીરોઈન જે ભણવાને બદલે જે કરે છે તેનાથી તેમને ભોગવવા પડતા પરિણામો અને મુશ્કેલી વિશે સમજાવી શકાય...

અને હા આ ગીત જરા ગણગણવા લાયક તો ખરુ જ...!





આપના પ્રતિભાવો આપશો.....

Saturday, September 12, 2009

નાની બેદરકારી જ્યારે જાનલેવા બને છે...


નવજાત શિશુ એક કોમળ ફૂલ જેવા હોય છે અને માતા-પિતાનુ જરાક બેધ્યાનપણુ કે અજ્ઞાનતા તેને પળવારમાં મુરઝાવી શકે છે. નવજાત શિશુની આવશ્યક સંભાળ માં ખાસ ધ્યાન આપવુ જરુરી છે. પરંતુ ક્યારેક કપડા- વસ્ત્રોની પસંદગી અને પહેરાવવાની વિધિને પણ ખૂબ ધ્યાનથી કરવાની જરુર છે.
આજે એવા એક તાજા બનેલા પ્રસંગની વાત કરવી છે જે સાંભળી ને આપના રુંવાટા ચોક્કસ ખડા થઈ જશે પરંતુ જો ધ્યાન ન રખાય તો એ ઘટના આપના ઘર-પરિવાર પણ થઈ શકે!!
એક મધ્યમ વર્ગીય પરિવારના ઘેર એક તંદુરસ્ત શિશુનો જન્મ થયો. પેંડા વહેંચાયા અને ખુશીનો પાર ન રહ્યો. પ્રથમ વખત શિશુ જન્મથી આનંદિત થયેલા આ પરિવાર માં શરુઆતી ત્રણ દિવસ તો પળવારમાં વિતી ગયા. ચોથા દિવસે બાળક્ના નવા વસ્ત્રોમાંથી પસંદગી કરી નવો જ સેટ પહેરાવાયો. હાથ-પગમાં નવા મોજાનો સેટ પહેરાવાયો. બાળક નવા વસ્ત્રોમાં ખૂબ સુંદર દેખાતુ હતુ એટલે નજર ન લાગે તેનો ટીકો પણ લગાવાયો. પણ સાંજ પડતા સુધીમાં બાળક ખૂબ રડવા લાગ્યુ. પ્રમાણમાં ઓછુ ભણેલા મા-બાપ બાળકને શાંત કરવા શું કરવુ વિચારવા લાગ્યા. જેટલા મોં એટલી વાત..! શિશુ ભૂખ્યુ હશે તેમ જાણી ધવડાવી જોયુ,
શિશુને પેટમાં ચૂક આવતી હશે તેમ માની ચૂકના ટીપા પીવડાવ્યા; શિશુ ને ગેસ થયો હશે તેમ જાણી ખભે રાખી થાબડી જોયુ પણ પરિણામ શૂન્ય ! હવે શું કરવુ તે સમજ માં ન આવી રહ્યુ હતુ અને શિશુ વચ્ચે રડી રડી થાકીને સૂઈ જતુ અને વળી ઉઠીને રડવા લાગતુ.!! હવે માતા-પિતાને લાગ્યુ કે કદાચ ગરમી થતી હશે.
એટલે ગરમી દૂર કરવા નવડાવવાનુ નક્કી કર્યુ ! અને આમ કરતા બાળકનુ હાથનુ મોજુ જરા પલળી ગયુ એટલે મોજુ બદલાવવા દોરી ખોલીને કાઢવામા આવ્યુ અને માતા પિતાએ જે જોયુ તે જોઈ એમના હોશ ઉડી ગયા.! એમના શિશુનો મોજામાં રહેલો હાથ સૂજીને લાલ થઈ ગયેલ અને કાંડાનો ભાગ કાળો પડી ગયેલ.! તાબડતોબ તેને સારવાર માટે લઈ જવાયુ....








વાત જાણે એવી હતી કે હાથમોજામાં મોજા બાંધવા દોરી આવતી હોય છે જે સામાન્યતઃ ખૂબ ઢીલી બાંધવી જોઈએ અથવા આવા મોજા ન વાપરવા જોઈએ. પરંતુ આ શિશુને ભૂલથી દોરી થોડી વધુ બંધાઈ ગઈ હતી અને દોરીના દબાણથી હાથના કાંડાના ભાગમાંથી પસાર થતી લોહીની ધમનીમાં લોહીનુ પરિભ્રમણ અટકી ગયુ. જેથી હાથના પંજા અને આંગળાના ભાગને પહોંચતુ તાજુ લોહી અટકી ગયુ. લાંબો સમય આ પરિસ્થિતી રહેવાથી હાથના પંજા અને આંગળામાં કોશિકાઓ મૃત થવાનુ ચાલુ થયુ અને સોજો આવવાનો ચાલુ થયો. શિશુએ રડી-રડીને માતા-પિતાને જાણ કરવાની કોશિશ કરી પણ જે પંજામાં આ બધુ બની રહ્યુ હતુ તે મોજા થી ઢંકાયેલુ હતુ. આથી માતા-પિતાને એ વિશે કદાચ ખબર પણ ન પડી અને તેમણે એ બધુ કર્યુ જે કોઈપણ સામાન્ય મા-બાપ કરે...!

આવા કિસ્સા પ્રમાણમાં જૂજ બને છે. પરંતુ એ લાલબત્તી સમાન છે. આવુ સામાન્ય રીતે મેં પગના પંજામાં બનતુ જોયુ છે. આવા અકસ્માતો માં લોકો સામાન્યપણે મા-બાપને દોષી ગણે છે પરંતુ આને કદાચ અનુભવ હીન અજ્ઞાનતા અને સંજોગનો શિકાર જ ગણવો જોઈએ. ખૂબ ભણેલા પરિવારોમાં પણ આવા બનાવો જોયેલા છે.

આવા અકસ્માતો ટાળી શકાય છે તેના માટે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખો.




  1. નવજાત શિશુના કપડા હંમેશા સુતરાઉ (cotton) કાપડના પસંદ કરો. ડીઝાઈન કે સ્ટાઈલ કરતા શિશુને આરામદાયક વસ્ત્રો પસંદ કરવા. સજાવટ કરવા જીંદગી ઘણી પડી છે.!


  2. હંમેશા આગળ બટન વાળા કે વેલ્-ક્રો વાળા વસ્ત્રો નવજાત શિશુ માટે પસંદ કરવા.ટી-શર્ટ વિ. પહેરાવવામાં અઘરા પડે છે. બિન અનુભવી માતાને વધુ તકલીફ પડશે. ચેઈનવાળા વસ્રોમાં ઈજા પહોંચવનો ભય રહેલો છે.


  3. શિશુને તેના માપ-સાઈઝ મુજબ જ વસ્ત્રો પહેરાવો. વધુ મોટી સાઈઝ કે નાની સાઈઝ જોખમી છે.


  4. ગળામાં દોરી વિ. આવે તેવા વસ્ત્રો ટાળો કે ન લો. તે ખૂબ જોખમી છે.


  5. બટન વાળા વસ્ત્રોના બટન ટાઈટ અને નીકળી ન શકે તેવા હોવા જરુરી છે કારણકે કોઈ વખત બાળક બટન ગળી જઈ શકે છે.


  6. હાથ કે પગના મોજામાં દોરીને બદલે ઈલાસ્ટીક પસંદ કરો અને તે ખાસ ટાઈટ ન રહે તે જુઓ.


  7. વસ્ત્રોની પસંદગી ઋતુઅનુસાર કરો. વધુ સમય પહેરી રાખવા પડતા વસ્ત્રો જેમ કે હાથ કે પગના મોજા કે માથાની ટોપી સુતરાઉ હોયતો વધુ અનૂકૂળ રહેશે.


  8. લાંબો સમય બાળકને ડાઈપરમાં ન રાખી મૂકવુ.


  9. બાળક જો ખૂબ રડે કે રડવાનુ અજૂગતુ લાગે તો એક વખત બધા કપડા કાઢી જોઈ લેવુ ; ઘણી વાર કપડા ની તકલીફ, પરસેવો કે કોઈ જંતુના કરડી જવાથી પણ બાળક રડતુ હોઈ શકે.


  10. એકસામટા વધુ વસ્ત્રો ન લેવા કારણકે નવજાત શિશુનો શરુઆતી વિકાસ ખૂબ ઝડપી રહેશે.


આપની જરાક અમથી સાવધાની શિશુને ઘણા અકસ્માતો માંથી બચાવી લેશે.
(video courtesy- Dr.Nilesh Baraiya.)



Wednesday, September 9, 2009

BOOK RELEASE

JUST RELEASED....
માતૃત્વની કેડીએ.. - દ્વિતિય આવૃતિ
"Dear friends,

I have released 2nd edition of my book MATRUTVA NI KEDIAE (on the path of motherhood) in GUJARATI language describing planning & preparation for an in utero child for expecting couple. The first edition was a huge success & i am thankful to all friends of medical community for their kind support.

The book is available on stands at 150 rs. MRP. how ever for BLOG READERS can avail it at 33% discount( 100/- rs. + postage) to gift their relatives as the aim of the book is not to earn but to circulate real scientific information in regional language.

you may read articles of this book on my blog- matrutvanikediae.blogspot.com."

મિત્રો
મારુ પુસ્તક માતૃત્વની કેડીએ.. - દ્વિતિય આવૃતિ પ્રકાશિત થઈ અને આજ રોજ રજૂઆત પામી રહ્યુ છે. બે-એક વર્ષ પહેલા પ્રથમ આવૃતિ રજૂ કરેલ જેને ખૂબ પ્રતિસાદ સાંપડેલ અને માત્ર ત્રણ માસમાં જ 2000 કોપી વેંચાઈ ચૂકી હતી. મારી વ્યવસાયિક વ્યસ્તતાને લીધે ફરી મુદ્રણ અને પ્રકાશન માટે વ્યવસ્થા કરી ન શકેલ. ઘણા ડોક્ટર મિત્રો- વાચકોએ અનુરોધ કરેલ તેથી ખાસ આ દ્વિતિય આવૃતિ રજૂ કરી રહ્યો છુ. સગર્ભા સ્ત્રીઓ અને દંપતિઓને ગુજરાતી ભાષામાં માત્ર સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી આપવાના હેતુ થી લખાયેલુ પુસ્તક કુલ 104 પેઈજ ધરાવે છે જેમાં 16 પેઈજ કલર છે. પુસ્તક સામાન્ય વાચકને બુક સ્ટેન્ડ પરથી રુ.150 માં મળી શકશે (વિતરક - આર. આર. શેઠની કંપની - અમદાવાદ phone- 079-25506573). પુસ્તકમાંથી અર્થોપાર્જનનો કોઈ જ હેતુ નથી. પુસ્તકની રોયલ્ટીની એક રાશિ ગરીબ બાળ દર્દી માટે ખર્ચ થશે. ગુજબ્લોગ કે ગુજરાતી ક્લબના કે ફન ફોર અમદાવાદી ગ્રુપના વાચક મિત્રો પોતાના પરિવાર કે ભેટ આપવાના હેતુસર મને ઈ મેઈલ (maulikdr@gmail.com) કરી શકે છે- જેમાં ખાસ 33 % ડિસ્કાઉન્ટ કિંમત (રુ. 100 ) + પોસ્ટેજ ચાર્જ લાગુ પડશે. આપ પુસ્તકના કેટલાક લેખો મારા બ્લોગ પર (matrutvanikediae.blogspot.com) પર વાંચી શકો છો. પ્રસ્તુત ચિત્ર તેનુ ફન્ટ કવર દર્શાવે છે.

Saturday, September 5, 2009

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની....!

આમતો ડોક્ટરોને સમાજમાં રહેતા અસામાજિક પ્રાણી તરીકે ગણાય છે- કારણકે દરેક સામાજિક પ્રસંગોએ એમની ગેરહાજરી હોય કે કસમયે પધરામણી હોય..! મોટા ભાગના પ્રોમિસ સાહેબ પાળતા ન હોય એટલે ઘરમાં-પરિવારમાં એમની કોઈ પ્રસંગે ગણતરી ન થતી હોય કે ન એમની પાસે કોઈ કામની અપેક્ષા લેવાતી હોય. આમ જુઓ તો મારા જેવા લેટ લતીફોને તે ઈમ્પ્રેશનનો ફાયદો થાય છે આપણી ભૂલ ઢંકાય જાયને !!
ભારત દેશ તહેવારોનો દેશ છે અને અહીં બાવન રવિવાર સિવાય બીજી કદાચ બાવન રજા નાના મોટા તહેવારોની હોય છે. પણ જાણીને નવાઈ લાગશે કે મેડીકલ લાઈફમાં વિદ્યાર્થી દિવસોથી જ એકાંતરા વર્ષે કદાચ દિવાળી કે નવરાત્રી કે ક્રિસમસ માણવા મળે છે. વિદ્યાર્થી દિવસોમાં આ તહેવાર લાઈબ્રેરી ના ટેબલ પર પુસ્તકોના ઢગલા વચ્ચે કે હોસ્ટેલની મેસમાં મનાવાય છે પણ મનાવાય છે ચોક્કસ...! વળી વૈવિદ્ય પણ ઘણુ કારણકે અબ્દુલના અમ્મીએ મોકલેલો શિરખુરમા હોય કે એડવીનના ઘરે થી આવેલી પ્લમ કેક હોય જેના ઘરેથી આવેલ હોય તેનો તો વારો જ ન આવે.. ! ખેર એ થોડી પળો પાછી પુસ્તકો વચ્ચે ખોવાઈ જતી હોય છે કારણકે ક્યાંક રજા લંબાઈ જાય તો પછી છ માસ જેટલી લાંબી થઈ જાય...!( મેડીકલમાં દર છ માસે રીપીટ પરિક્ષા લેવાય છે.) વેલ એ પછી રેસીડન્સી હોય કે સાહેબગીરી હોય સરકારી હોસ્પીટલમાં નિયમ મુજબ આવશ્યક સેવાઓ બે સળંગ દિવસ બંધ ન રહી શકે એટલે એકાદ દિવસ થી વધુ રજા ન હોય. વળી બિમારીઓ કે રોગ કોઈ તહેવાર પાળતા નથી તે મોટુ દુઃખ છે.! ખેર ઘણી દિવાળી કે ક્રિસમસના ફટાકડા વોર્ડની બારીમાંથી બાહર ફૂટતા જોયા છે જેના ભડાકા શરુઆતમાં અંદર થતા પણ હવે બધુ કોઠે પડી ગયુ છે. અમારા એક બોસ નો ખાસ તકિયા કલામ હતો- it’s a part of life…! બસ એવુ જ કંઈ...!
રખેને એવુ ન માની લેતા કે આ લેખ કંઈ હાય બળતરા કાઢવા લખ્યો છે.! ખેર ઘણા ઓછા લોકોને ખબર હશે પણ ડોકટરો પણ દરેક તહેવારો જે તે સ્થળ પર જ ઉજવી લે છે. એ પણ જીવન ની સાથે જોડી ને ..!
દશેરા ના દિવસે ગુજરાતમાં રાવણ દહનના પ્રસંગો ઉજવાય છે જ્યારે દક્ષિણ ભારતમાં આ દિવસે આયુધ પૂજા એટલે કે શસ્ત્ર પૂજન ના ઉપલક્ષમાં ઉજવાય છે. દરેક માણસ પોતાના રોજી-રોટીના સાધન કે પોતાના શસ્ત્રને પૂજા કરે છે અને ઈશ્વરના આશિર્વાદ મેળવે છે. આ પ્રસંગ ત્યાં ખૂબ આદર અને ભક્તિભાવથી આમ આદમીની જીંદગીમાં વણાયેલો છે નાનો લારીવાળો હોય કે મોટી હોટલવાળો સહુ કોઈ આયુધ પૂજન તો કરશે જ...! તો પછી ડોક્ટરો શાના બાકિ રહે...! મનિપાલ હોસ્પીટલમાં અમારા નવજાત શિશુ વિભાગ મા આયુધ પૂજા કરવાની પ્રથા પાળતા.!! વિચાર આવે કે ડોક્ટરો ના વળી કેવા હથિયાર ? તો સાંભળો વેન્ટીલેટર(કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાનુ મશીન)-વાર્મર(શિશુનુ તાપમાન નિયંત્રિત રાખતુ મશીન)- પલ્સઓક્સીમીટર(લોહીમાં ઓક્સીજનનુ પ્રમાણ જાણવાનુ મશીન) અને અનેક બીજા આધુનિક સંયંત્રો...
વેલ આ બધાને તે વળી પૂજાતા હશે ? ચોક્કસ પૂજવા પડે કારણકે દિમાગનુ કામ જો દિલથી ન કરીએ તો દિમાગ પણ થાકી જાય... દરેક મશીનનો શોધક માણસ છે અને મશીન અને માણસની ટીમ જ્યારે દર્દીને બચાવવા કામે લાગે છે ત્યારે ઘણા કિસ્સામાં માત્ર વિજ્ઞાન કામ નથી આવતુ , ઈશ્વરનો આશીર્વાદ પણ જોઈએ છીએ. એ આશીર્વાદ કે જે કદા અને તૂટતા ધબકારા વચ્ચે પણ અમને અને મશીન ને ખંતથી કામ કરતા રાખે છે!!. એ આશીર્વાદ કે જે બચીચ અમારા દ્વારા સારા નિર્ણયો લેવડાવે છે અને વખાણ અમારા થાય છે!!. એ આશીર્વાદ જે ખૂટતા જતા શ્વાસ ગયેલા શિશુના મુખ પર વહેલી સવારે સ્મિત બનીને ચમકે છે.! બસ એટલે જ આ પરંપરા અમે પણ પાળી. આયોજન કરવામાં સહુ કોઈ લાગી ગયુ પંડીત અને પૂજન સામગ્રી લાવવાનુ કામ કર્યુ મલયાલી બ્યુનિસ બ્યુલા કે જે ખૂદ ક્રિશ્ચ્યન છે. કેળના પાન અને અન્ય સજાવટ એક મુસ્લીમ-હિન્દુ-જૈન સાથી મળી કરી. પૂજામાં જે માત્ર દસ મિનિટ જ સહુ સાથે મળી બેઠા..! કારણ કે ઉદ્દેશ્ય માત્ર એક હતો હે પ્રભુ અમારા નિર્ણયો માં અમારા આ યુધ્ધમાં સતત અમારી સાથે રહેજે અને અમને અમારા જ્ઞાનરુપી શસ્ત્રનો સદુપયોગ શીખવજે....
(જુઓ ફોટોગ્રાફ)

















આવી જ પરંપરા અમે અમારા જામનગરના નવજાત શિશુ વિભાગમાં નિભાવીએ છીએ. આપણે ગુજરાતી એટલે રક્ષાબંધન નુ મહત્વ ઘણુ.. રક્ષાબંધનની મૂળ કથાના હાર્દમાં રક્ષણનો મહિમા છે.. નાના એવા નવજાત શિશુનુ રોગથી અને બિમારી થી રક્ષણ થાય એ અમારા સહુનુ મિશન છે. આ મિશન માં જરુરી છે
સહુનો ઉત્સાહ પૂર્ણ સાથ – ઉચિત નિર્ણયો અને ઈશ્વરનો આશીર્વાદ. નવજાત શિશુ વિભાગ સતત ધમધમતો અને ચોવીસ કલાક ઈમરજન્સી સારવાર આપવા ચાલુ રહેતો વિભાગ છે એટલે અહીં રેસીડેન્ટ ડોક્ટરો કે સ્ટાફને મોટા ભાગે માંદગી સિવાય રજા જ નથી મળતી. આવા સમયે સહુનો ઉત્સાહ જળવાઈ રહે તે પણ જરુરી છે અને તહેવારમાં ઘરની યાદ આવે તે પણ સ્વાભાવિક છે. એટલે અમે આ દિવસે વોર્ડમાં જ તમામના હિત સચવાઈ જાય અને ઈશ્વરની આરાધના પણ થાય તે રીતે રક્ષાબંધન ઉજવીએ છીએ.

અમે નાના નવજાત શિશુને રક્ષા બાંધી એ છીએ અને જો એ ખૂબ બિમાર હોય તો તેના બેડને બાંધીએ છીએ અને ઈશ્વરને આ એસ.એમ.એસ. થી બટરીંગ કરીએ છીએ...! ઈશ્વર તો સાંભળે જ છે પણ આ પ્રસંગથી સહુનુ મોં મીઠુ કરીને તાજા માજા કરી શકાય છે અને એક વધુ સંકલીત અભિગમ સર્જાય છે જેને તમે મેનેજમેન્ટેરીયલ રુલ ગણી શકો!. વળી નવજાત શિશુ પ્રત્યેની ફરજ તત્પરતા પણ વધે છે. (ફોટોગ્રાફ)


















કદાચ ઘણા લોકો આને ભારતીયોની પોકળ માનસિકતા માને પણ દવા અને દુઆ બંને નો દોર જ તૂટતા શ્વાસને જોડે છે અને જીવનને ધબકતુ રાખે છે એવુ મારુ માનવુ છે...!


-DR.MAULIK SHAH
4-09-2009.

Tuesday, September 1, 2009

માતૃશિક્ષણ કરશે શિશુનું રક્ષણ...


ગર્ભધાન અને પ્રસુતિ મહદઅંશે એક કુદરતી પ્રક્રિયા છે જ્યારે શિશુ-ઉછેર એ ઘણો પુરુષાર્થ અને જ્ઞાન માગી લેતી પ્રક્રિયા છે. કોઈપણ શિશુ માટે શરુઆતી બે વર્ષ અત્યંત મહત્વના છે કારણકે મગજનો કદ અને આકાર ની દ્રષ્ટિએ કુલ 80 ટકા જેટલો વિકાસ આ પ્રથમ બે વર્ષમાં થશે. આથી શરુઆતી વિકાસ શિશુને જીવનમાં ભાવિ વિજેતા બનાવવા અત્યંત આવશ્યક છે. નવજાતશિશુની નાજૂક સંભાળ ની બાબતે નવી માતા બનેલ સ્ત્રી પાસે તેને બધુ આવડતુ જ હોય તેવી અપેક્ષા રાખવી અથવા તો ‘પડશે એવા દેવાશે’ ની નીતિ યોગ્ય નથી. શિશુ-સંભાળ વિશે દુર્ભાગ્યવશ ન તો કોઈ અભ્યાસક્રમ શિખવાડે છે કે ન આ વિષયમાં કોઈ વ્યવસ્થિત લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. સરવાળે જેટલા મોં એટલી વાતો અને શિશુની આસપાસ રહેલી દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન નો પટારો ખોલી દે છે અને ઘણા ખરા શિશુને ક્યારેક ઘણું આરોગ્યલક્ષી નુકશાન વેઠવુ પડે છે.
આ બધી બાબતો નો અભ્યાસ કરી અમે ડીપાર્ટ્મેંટમાં વિચાર્યુ કે સો વાતની એક વાત માતાને જ સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાથી જ આ સમસ્યા હલ કરી શકાય અને વળી, આ જ્ઞાન જો હોસ્પીટલમાંથી આપીને ઘેર મોકલી શકાય તો કેટલુ સારુ ! બસ, લાગી ગયા બધા કામે - સરકારશ્રીએ ડીપાર્ટમેન્ટને આપેલી ઘણી ખરી આધુનિક સવલતો – ટી.વી.-ડી.વી.ડી.-વિડીયો કેમેરા અને નવજાતશિશુ સંબધી વિવિધ વિશ્વસ્નીય સંસ્થાઓ દ્વારા અપાયેલ સાહિત્ય વિ.નો ઉપયોગ કરી જરુર જણાઈ ત્યાં ઓડીયો – વિડીયો ઉપકરણો નો ઉપયોગ કરી અમે એક અંદાજીત 30 મિનિટ જેટલો ચાલે તેવો વિડીયો પ્રોગ્રામ રચ્યો જે ટી.વી.સ્ક્રીન પર દેખાડી શકાય અને સાથે ગુજરાતીમાં કોમેંટરી પણ આપી શકાય . વળી આ બધું હતું સરળ ગુજરાતી ભાષામાં ! આ વિડીયો કેપ્સયુલમાં સામેલ હતા - નવજાતશિશુની રોજિંદી આવશ્યક સંભાળ , સ્તનપાન ની વૈજ્ઞાનિક પધ્ધતિ અને કાંગારુ માતૃ સુરક્ષા જેવા અતિ આવશ્યક વિષયો.
જી.જી.હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની એક સૌથી મોટી રેફરલ ટીંચીંગ હોસ્પીટલ હોવાથી અહીં દર્દીઓનો સતત વિશાળ પ્રવાહ ધસમસતો રહે છે. અમારો નવજાતશિશુ વિભાગ વર્ષે લગભગ હોસ્પીટલમાં જ જન્મતા 6000 નવજાતશિશુને અને અંદાજે 1500 જેટલા બાહરથી રીફર થયેલા શિશુઓને સેવા આપે છે. આટલા વિશાળ ફલક પર જો અમે આ તમામ શિશુની માતાઓને પ્રશિક્ષીત કરી શકીએ તો ખરેખર દુરગામી પરિણામો નવજાતશિશુ સંભાળ અંગે સમાજ ને અવશ્ય જાગૃત કરી શકે. પ્રશિક્ષણનું આ ભગીરથ કાર્ય જે રોજીંદા ધોરણે કરવુ અને તે પણ દરદીઓની સંભાળ સાથે તે માત્ર ડોકટરોથી શક્ય ન હતુ. હવે વારો હતો અમારા નર્સીંગ સ્ટાફનો કે જેમણે અમારી સાથે ખભે-ખભો મેળવીને આ કાર્યને રોજીંદા ધોરણે અંજામ દેવા ખાસ કમર કસી. અને શરુ થયો એક જ્ઞાન યજ્ઞ જેમાં માતાઓને એક અલાયદા એરકન્ડીશન્ડ સેમીનાર રુમ(કે જે નવજાતશિશુ વિભાગમાં જ છે.)માં ખાસ ખુરશી આપી વિશાળ ટી.વી. સ્ક્રીન પર પ્રશિક્ષીત કરવામાં આવે છે. તેમને વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછીને મનમાં રહેલી વિવિધ શંકાનું સમાધાન કરવા પ્રોત્સાહિત કરાય છે.


આ પ્રશિક્ષણ કાર્ય શરુ થયાને હવે છ માસ થયા છે અને અમે અમારા આ પ્રયાસ માટે ધન્યતા અનુભવીએ છીએ કારણકે હવે આવી પ્રશિક્ષણ લઈને ગયેલી માતાઓ ફરી બતાવવા આવે ત્યારે શિશુ સંભાળ માં સામાન્ય ભૂલો નથી દેખાતી – સ્તનપાન માં અનુભવાતી તક્લીફો ઘટી છે. અભણ અને ગરીબ માતાઓ પણ પાછા મળ્યે અમારી આ “ ફીલમ “ ને ચોક્ક્સપણે યાદ કરે છે!!
આ કાર્યએ નર્સીંગ સ્ટાફ,ડીપાર્ટમેન્ટ ઓફ પિડીયાટ્રીક્સ, જી.જી.હોસ્પીટલ ઓથોરિટી અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓથોરિટી તથા આરોગ્ય તંત્ર નો એક સંયુક્ત પ્રયાસ છે. ઈશ્વર અમને આ કાર્ય આગળ ધપાવવા બળ આપે એ જ અભ્યર્થના....


New Born Baby Ward