સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, September 28, 2011

ડો.પ્રજ્ઞા પૈ – એક વિરલ વ્યક્તિત્વ


મિત્રો, આજે એક અનોખા ડોક્ટર અને માતૃબાળ અને સમાજ ઉપયોગી સાહિત્યના દંતકથા સમાન લેખક ડો. પ્રજ્ઞા પૈ ની વાત... મારા જેવા અનેક લોકો જેમને વાંચીને લખવાની પ્રેરણા મેળવે છે તેવા આ ગુજરાતી લેખક ની જીવન વિશેની વાત અને તેમનો સંદેશ આપના સુધી પહોંચાડવાનો મારો આ પ્રયાસ ચોક્ક્સ આપને સ્પર્શશે. એક પત્ર ઈન્ટરવ્યુ દ્વારા મેં તેમને પૂછેલા પ્રશ્નો અને જવાબ પ્રસ્તુત છે. 

ડો. પ્રજ્ઞા પૈ MD(Ped) DCh , FIAP વય: 70 વર્ષ
અભ્યાસ વિશે
પ્રારંભિક અને ઉચ્ચ મેડીકલ અભ્યાસ નાયર હોસ્પીટલ અને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજમાં કરી એમ.ડી (પેડીયાટ્રીક્સ) ડી.સી.એચ તરીકે ડીગ્રી હાંસલ કરી. તેજ સંસ્થામાં  સૌ પ્રથમ લેક્ચરર તરીકે અને પછી વિવિધ પદોન્નતિ દ્વારા પ્રોફેસર અને વિભાગ પ્રમુખ તરીકે 16 વર્ષ સેવા નિભાવી. ત્યારબાદ મુંબઈની સૌથી મોટી કે.ઈ.એમ. હોસ્પીટલ અને શેઠ જી.એસ. મેડીકલ કોલેજ ના ડીન તરીકે 10 થે વધુ વર્ષ સેવા બજાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ઈ.સ. 1999થી સેવા નિવૃત થયા બાદ પણ અનેક રાસ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં સલાહકાર કે વિષય નિષ્ણાત તરીકે પ્રવૃત રહ્યા. તેમના અનેક રીસર્ચ પેપરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે.

લેખક તરીકે
જન્મભૂમિ પ્રવાસી - સંદેશ – મુંબઈ સમાચાર જેવા ખ્યાતિપ્રાપ્ત અખબારો માં પંદર વર્ષથી વધુ સમય થી સામાન્ય આરોગ્ય,માતા અને શિશુ સંભાળ, સમાજીક દૂષણો, જીવન જીવવાની કલા, મેનેજમેન્ટ વિ. વ્યાપક વિષયો પર સતત તેમની કોલમ પ્રકાશિત થાય છે. અનેક ગુજરાતી અને અંગ્રેજી મેગેઝીનમાં તેમના લેખ પ્રકાશિત થયા છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેમના 24 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને વિવિધ ક્ષેત્રીય ભાષામાં અનુવાદિત થયા છે.

ડોક્ટર થવાનું કારણ .... !
રૂપાળી અને ગોરી ત્વચા ધરાવતી મારી માતાએ 21 વર્ષની વયે મને જન્મ આપ્યો બે દિવસ પછી પ્રસૂતાને ‘ બોલાવવા’ આવેલા મારા દૂરના મારા મામીએ મને જોતા વેંત કહ્યુ નીલીબેન ની બેબી આટલી કાળી ...! અરરર....!. આને લેશે કોણ ...! આવી ટકોર હૈયા સોંસરવી ઉતરી જાય તે સહજ છે. મારી ત્વચાનો રંગ ઉઘાડવા – હળદર, લીંબુ,હાઈડ્રોજન પેરોક્સઈડ અને તે સમયે મલતા ‘ફ્લોરોઝોન’ નામક વ્હાઈટનીંગ ક્રીમ વિ. માતાએ અજમાવી જોયા...!  સાથે સાથે મારા મનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઠસાવવા તે કહેતા કે લગ્ન ન કર્યા હોય પણ ખૂબ ભણેલી સ્ત્રીઓ એકલી સ્વનિર્ભર રહી શકે છે. તું I.C.S. ( હાલનું I.A.S.) અથવ સમકક્ષ મેડીકલ અભ્યાસ કરજે. !!   બસ પછી ભણવામાં મેં પાછી પાની નથી કરી અને નસીબમાં ડોક્ટર થવાનું લખ્યુ હશે તો આ પ્રોત્સાહક બળ વડે તે બની....!

લખવાનો વિચાર કેમ આવ્યો ...!! ?
બહુ નાની વયથી હું થોડુ લખતી. મારા સાક્ષર નાના (સ્વ.રામભાઈ બક્ષી) લખવાનું સતત ઉત્તેજન આપતા અને મારા લખાણો છપાતા પણ ખરા...! કે.ઈ.એમ. હોસ્પીટલના ડીન (અધિષ્ઠાતા) તરીકે જવાબદારી સ્વીકાર્યા પછી વ્યસ્તતા વધી જતા હું બાળદર્દીઓ – માતાઓ વાલીઓ વિ. ને ઓછો સમય ફાળવી શકતી... અને તેથી પરોક્ષ રીતે મારી સલાહ અને વિવિધ ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડવાના વ્યાપક પ્રયાસ રૂપે મેં નિયમિત પ્રશ્નોત્તરી, લેખ અને પુસ્તકો માતે લેખન શરુ કર્યુ અને અખબારો તથા સામાયિકો માટે કોલમ લખવાનું બીડુ ઉપાડ્યુ. જે આજ પર્યંત ચાલુ છે. ..!

પરિવારનો ફાળો
પરિવારનો સહકાર અને ઉત્તેજન સતત મળતા રહ્યા અને મારા પતિ અને સંતાનોએ કેટલીક વાર દૂર રહીને પણ મને ખલેલ વગર લખવાનો સમય આપ્યો. જીવનના દરેક પગથિયે વિકસવાની તક પણ આપી.

કયુ કાર્ય વધુ તક મળે તો કરવા ઈચ્છો છો ....! ?
તક સતત મળતી જ રહી છે. જે પ્રવૃતિ બાળકો માટે –માતા પિતા માટે - વડીલોમાટે અને સમાજ માટે ઉપયોગી હોય તે કરવી મને ગમે છે. આ પ્રવૃતિ કરવાની વધુ ક્ષમતા મળે તો મને ગમશે...!

આજના માતા પિતાને માટે સંદેશ...
પ્રત્યેક બાળકને પોતાનું આગવુ –અજોડ અસ્તિત્વ,બંધારણ અને વ્યક્તિત્વ હોય છે. તેને ચાવી દીધેલા રમકડાની જેમ કે કઠપૂતલીની જેમ આપણી મરજી કે ઘેલછા કે અપેક્ષા મુજબ ન નચાવી શકાય ..! પુસ્તકો, લેખ, નેટ પરથી મળેલી માહિતી ઉપયોગી છે પરંતુ બાળ ઉછેર માટે અંતઃસ્ફૂરણા,સહનશીલતા અને પ્રેમ એ વૈજ્ઞાનિક માહિતીથી પણ વધુ મહત્વના છે. અનુભવી વ્યક્તિના સૂચનો પણ લાભદાયી નીવડી શકે.
  ભવિષ્યની ચિંતાનો બોજ લઈ ચિંતિત રહેવાને બદલે બાળકો બાળપણ માણે – માતાઓ માતૃત્વ માણે અને સતત બીજાની સાથે સરખામણી કરવાનું ટાળે તેમાં જ ડહાપણ ...!!!




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Tuesday, August 16, 2011

સૂરસંવાદ રેડીયોના ઉદઘોષક આરાધનાબેન ભટ્ટનો ઈન્ટરવ્યુ



મિત્રો
સૂર સંવાદ રેડીયો - ઓસ્ટ્રેલિયા કે જે ઓસ્ટ્રેલિયા ખાતે નો એક માત્ર ગુજરાતી રેડીયો છે. તેની શરુઆતને 4 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે રેડીયોના સ્થાપક અને ઉદધોષક આરાધનાબેન ભટ્ટ દ્વારા સૌ શ્રોતા મિત્રો અને શુભેચ્છકોને પૂછવામાં આવ્યુ કે આ ચતુર્થ વર્ષગાંઠ પરના કાર્યક્રમમાં શું ખાસ કરવુ કે જે સહુ કોઈ માણી શકે અને પ્રસંગોચિત હોય ... ઘણા બધા મિત્રો એ શુભેચ્ચ્છા અને વિચાર મોકલ્યા . મને વિચાર આવ્યો કે ગુજરાતના અનેક મિત્રો અને કલા રસિકોના ઈન્ટરવ્યુ આરાધનાબેને કર્યા છે તો આ વખતે કેમ ન આરાધનાબેનનો ઈન્ટરવ્યુ આ લોકોમાંથી કોઈ એક કરે ?!! મેં આ વિચાર આરાધના બેનને રજૂ કર્યો અને એમને અ અ આ વિચાર ખૂબ પસંદ પડ્યો....!

અને સર્જાયો એક રીવર્સ સિન્ગલ્સ ... જેમાં હું હતો માઈકની આ બાજુએ અને આરાધનાબેન હતા સામેની બાજુએ ... અમોએ ફોન દ્વારા એક ઈન્ટર્વ્યુ કર્યો જેમાં સૂરસંવાદ અને આરાધનાબેન વિશે ઘણી અંતરંગ વાતોની ચર્ચા થઈ...

આપ સર્વે ને સાંભળવાને અર્થે આજે રજૂ કરુ છુ....


Interview of aaradhnaben bhatt.(4th anniversary of sur samvad)mp3 by gujmom

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, July 30, 2011

dancing infants


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, May 7, 2011

મધર્સ ડે સ્પેશ્યલ (Mothers' Day Special)


જીવનદાયીની માતાને શત શત પ્રણામ
આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને સુશોભન કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન-વિચાર-વાણી અને વર્તનમાં આમૂલ પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત મોડ આપે છે. એક મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા...! આ મા બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!
કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ ...! આવી ઈશ્વરનું મૂર્તિમંત સ્વરુપ એવી સંસાર ની તમામ માતાઓને આજે મધર્સ ડે પર હાર્દિક વંદન અને શુભકામનાઓ...!
ઘણા લોકો કહેશે કે આ મધર્સ ડે તો પશ્ચિમી રિવાજ છે પણ શું માનું ગૌરવ કરવા માટે આપણને દેશ-ભાષા અને સંસ્કૃતિના બંધનો નડી શકે ખરા ? !! . આવો તપાસીએ મધર્સ ડે નો ઈતિહાસ ...
મધર્સ ડે નો ઈતિહાસ
ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..!  શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.
મધર્સ ડે નું વ્યાપારિકરણ
કાર્ડ- ગીફ્ટસ-ચોકોલેટ ના ઉત્પાદકોએ આ દિવસનો ખૂબ પ્રચાર કરી અને પોતાની ચીજોનું મધર્સ ડે ના ઉપલક્ષે માર્કેટીંગ કર્યુ. ધીમે-ધીમે આ દિવસનો મૂળ મર્મ માર્યો ગયો અને લોકો માતા પ્રત્યે પોતાની ફરજ ભૂલીને તેના બદલે માત્ર કાર્ડ મોકલી સંતોષ મેળવતા થયા...! આ સમગ્ર વ્યાપારિકરણથી વ્યથિત બની આન્નાએ મધર્સ ડે નો વિરોધ કરવાનું ચાલુ કર્યુ... તેના મતે આ મધર્સ ડે નહિ પણ હોલમાર્ક* ડે (*હોલમાર્ક એક પ્રતિષ્ઠીત કાર્ડ બનાવતી કંપની છે. ) કહેવાનું ચાલુ કર્યુ ...! તેમના મતે માત્ર કાર્ડ આપવાથી માતા પ્રત્યે સન્માન નહિ પણ માત્ર એક આળસ પ્રદર્શિત થાય છે... આન્નાએ આ વ્યાપારિકરણ થી અત્યંત દુઃખી થઈ મધર્સ ડે ઉજવણી બંધ કરવા જીવન ભર પ્રયાસો કર્યા. ! કદાચ કોઈ કાર્ડ કંપની પાસે સમજૂતિ કરી ઘણા પૈસા કમાઈ શકે તેવી પરિસ્થિતિ હોવા છતા આન્નાએ આજીવન મધર્સ ડે ના વિરોધમાં પોતાનું જીવન અત્યંત ગરીબ હાલતમાં ગાળ્યુ.
પંચ લાઈન
ખેર કાર્ડ નો મહિમા એસ.એમ.એસ અને ઈમેલના જમાનામાં થોડો ઓછો ચોક્કસ થયો છે પણ આખરે માતાને ગૌરવ આપવાના ઉદ્દેશ્ય થી સ્થપાયેલ આ દિવસ એક શિષ્ટાચાર અને માત્ર દેખાડો બની ને રહી જાય છે. મોટા ભાગના લોકો આ દિવસથી અજાણ હોય છે અને થોડા ઘણા જે જાણે છે તે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ પર કે અન્ય સંચાર માધ્યમ દ્વારા પોતાનો માતૃપ્રેમ પ્રગટ કરે છે. જોકે વધી રહેલા વૃધ્ધાશ્રમો અને ઘરડાઘરો મધર્સ ડે જેવો દિવસ ખરેખર આપણે મનાવવો જોઈએ કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્ક્સ મૂકે છે...! . 

આ સાથે આરાધનાબેન ભટ્ટ - સૂર સંવાદ રેડીયો - સિડની-  ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલ મારો મધર્સ ડે સંબંધી ઈંટરવ્યુ  પણ મૂકેલ છે 
Mother's day Interview by Aaradhnaben Bhatt by gujmom

કેટલાક મમળાવવા લાયક અવતરણો

શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર સ્ત્રી હતી...! માતા એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.રજનીશજી ઓશો

શહેરી માતા બાળકને સતત ડીલીવર કરે છે ...! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત ...! – પીટર દ વ્રાઈસ

જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. ...!” – એક ચીની કહેવત

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા ...! – ટેનેવા જોર્ડન

હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ -  જેમ્સ ફેંટન




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, March 20, 2011

વિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ તથા રસીકરણ અંગેની ગુજરાતી વેબ નું વિમોચન્.


સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
1.       માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – gujmom.com
2.       બાળકોનાં રસીકરણ અંગેની વેબ સાઈટ – bal-rasikaran.com
3.       બાળકોનું રસીકરણ પુસ્તક
ના વિમોચન નો પ્રસંગ જામનગર ખાતે તા. 19-3-2011 ના યોજેલ જેમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે વેબ સાઈટ અને પુસ્તકો રીલીઝ થયા.



gujmom.com વિશે
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
 વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી  માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે. 
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
 આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે. 


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, March 10, 2011

ભણવાની ઋતુ આવી... (the exam season arrived...)




મિત્રો

ધોરણ 10 અને 12 ની આવી રહેલી પરિક્ષાના વાતાવરણમાં દરેક વિદ્યાર્થી મિત્રોની હાલત કદાચ આ ચિત્રની મીણબત્તી જેવી જ હશે પણ યાદ રાખજો મિત્રો ... ડર કે આગે જીત હૈ.... !!!

 વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને સમર્પિત કરુ છુ આ વિડીયો સોંગ ...




ભણવાની ઋતુ આવી.... 

ગીતકાર - ડો. મુકુલ ચોકસી
સંગીત - મેહુલ સુરતી
ગાયક - અમન લેખડીયા અને વૃંદ
વિડીયો એડીટ - ડો. મૌલિક શાહ




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. -

 ડો.મૌલિક શાહ 

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ
 જામનગર (ગુજરાત)

Wednesday, March 2, 2011

બ્લોગ જગતના દાદાની “દાદાગીરી “ …!


આંગણવાડી ના કાર્યકરોને પ્રણવ મુખરજીએ આ બજેટમાં ખરેખર રાજી કર્યા એ પણ માત્ર એમના હકનું આપીને...! ઘણા મિત્રોને કદાચ એ ખબર નહિ હોય કે આંગણવાડી ભલા કઈ બલા છે ? તો તેમની જાણકારી માટે કહેવાનું કે - આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ  બાલભોગ્  નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે.
આવા આંગણવાડી કાર્યકરોને તેમની સુંદર કાર્યવાહી માટે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો જ તેમનું ભગીરથ કામ તેમના નિમ્ન વેતન ( 1000 રુ – 2009 માં 1500 રુ -2010 માં હવે 2011/12 માં 3000 રુ ) માં પણ કરવા ઉત્સાહ રહે.
આ વર્કર બહેનો વિશે મેં એક આર્ટીકલ - નાનુ નામ મોટા કામ ...!  તા. 17-7-2009 ના રોજ મારા બ્લોગ પર લખેલ (http://matrutvanikediae.blogspot.com/2009/07/blog-post_17.html) આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. અમેરીકા નિવાસી અને બ્લોગ જગતના દાદા એવા શ્રી સુરેશ ભાઈ જાનીને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!  મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! અમો એ સુરેશ ભાઈ ને જાણ કરી અને એમણે આ તમામ આંગણ વાડી વર્કરોને માટે ચેક મોકલી આપ્યા. આંગણ વાડીના ઈતિહાસમાં કદાચ પ્રથમ વાર એક પર વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર થયુ . (બ્લોગ આર્ટીકલ- બ્લોગથી થયું એક શુભકામ...) 2009ના અંતે આ કાર્યક્રમ પ્રથમ વાર થયો અને સુરેશભાઈ ની ખાસ સૂચનાથી આ આર્ટીકલમાં મેં તેમની આ સખાવત ગુપ્ત રાખી. પણ તેમણે આ કાર્ય પ્રતિવર્ષ કરવા તત્પરતા દેખાડી.
હવે વર્ષ આવ્યુ 2010નું અંતે અમો એ ફરી છ આંગણ વાડી વર્કર ને પસંદ કરી ને સુરેશ ભાઈ ને જાણ કરી અને અમારો આનંદ બમણો થયો કે તેઓ આ વખતે ભારતમાં જ હતા. અમારા ખાસ આગ્રહને માન આપી તેઓ જામનગર પધાર્યા. તેમની હાજરીમાં છ આંગણ વાડી વર્કરો ને પ્રોત્સાહિત કરાયા. જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસોયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ દબદબા ભેર સંપન્ન થયો. આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા શ્રી સુરેશ ભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયુ. સમારોહ માં સુરેશભાઈ એ ખૂબ ભાવવિભોર થઈ વાત કરીકે એમની જીંદગીમાં જ્યારે એમના પૌત્રોની સાથે સમય ગાળ્યો અને અને તેમના ઉછેરમાં માનો રોલ જોયો ત્યારે તેમને આખી જિંદગીભર આજીવિકા રળવાનું કામ વધુ સહેલુ લાગ્યુ. કદાચ એટલે જ માતા સમાન કાર્ય કરતી આ આંગણ વાડી વર્કરો ને બિરદાવવાનું એમને વધુ ગમ્યુ. અને આજીવન પ્રતિવર્ષ આ કાર્ય કરવાનું બીડુ ઉઠાવી લીધુ છે.
આ લેખમાં પણ પોતાનું નામ લખવાની શ્રી સુરેશ ભાઈએ મનાઈ કરી છે છતા પણ મને લાગે છે વધુ વખત એ ઢાંકી રાખવુ શક્ય નથી. અને કદાચ બ્લોગ જગતના અસંખ્ય વાચકોને આ સત્કાર્ય ની જાણ થવી મને જરુરી લાગે છે. વળી છેવાડાના આ અંગણ વાડીને યોગ્ય રીતે જો કાર્યરત રાખી શકીશુ તોજ ગુજરાત ની આવતીકાલ વાઈબ્રન્ટ બનશે. આ વર્ષે અમો કુપોષિત બાળકો માટે ખાસ કાર્ય કરવા ઈચ્છીએ છીએ અને આ માટે આપ સૌની ભાગીદારી જરુરી છે.    


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)